સવેરા ગુજરાત/ગાંધીનગર : આજે એક મહત્વની જાહેરાતમાં રાજય સરકારે વિધાનસભામાં માહિતી આપી હતી કે ધો.1 અને 2 માં અંગ્રેજી વિષય દાખલ કરાશે અને તેનો અભ્યાસ કરાવવામાં આવશે. વિધાનસભામાં આજે શિક્ષણ વિભાગ પરની બજેટ ચર્ચાનો જવાબ આપતા સમયે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ગૃહમાં જાહેર કર્યુ હતું કે ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઉંચુ લઈ જવા માટે રાજય સરકાર પ્રતિબદ્ધ છે અમે ધો.1 અને 2 માં નાના બાળકો સમજી શકે તે રીતે ખાસ પ્રકારના પાઠયપુસ્તક તૈયાર કરાવીને અંગ્રેજીનો વિષય ભણાવવાની યોજનામાં આગળ વધી રહ્યા છીએ.
જો કે તેમણે કયારે આ વિષય દાખલ કરાશે તે અંગે કોઈ ચોકકસ સમય આપ્યો ન હતો પરંતુ માનવામાં આવે છે કે રાજય સરકાર આગામી શૈક્ષણિક વર્ષથી ધો.1 અને 2 માં અંગ્રેજી વિષય દાખલ કરાવી દેશે અને આ માટે યોગ્ય શિક્ષકોની પણ ભરતી થશે. ગુજરાતમાં ધો.5 થી ગુજરાતી મીડીયમની શાળાઓમાં અંગ્રેજી વિષય આવે છે. બીજી તરફ શિક્ષણમંત્રીએ એ પણ જણાવ્યું કે શાળાઓમાં ગીતાનું જ્ઞાન આપવા પ્રયત્ન થશે. ગીતાના જે બોધ જેવા શ્લોકો છે તેનું સરળ ગુજરાતી અને સંસ્કૃતમાં બાળકોને કંઠસ્થ કરાવવાની અમારી યોજના છે જેમાં પણ અમે આગળ વધી રહ્યા છીએ.