સવેરા ગુજરાત/કિવઃ રશિયા છેલ્લા 22 દિવસથી યુક્રેન પર હુમલા કરી રહ્યું છે. અત્યાર સુધી રશિયાના હુમલામાં યુક્રેનના 103 બાળકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. અનેક નિર્દોષ નાગરિકોએ પણ આ યુદ્ધમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આ વચ્ચે યુક્રેનના વિદેશ મંત્રાલયે ટ્વીટ કરી જણાવ્યું કે તેણે રશિયાને અત્યાર સુધી કેટલું નુકસાન પહોંચાડ્યું છે. ટ્વીટ પ્રમાણે યુક્રેને જણાવ્યું કે તેણે રશિયાના 14000 સૈનિકોને મારી નાખ્યા છે. જ્યારે 86 એરક્રાફ્ટ, 108 હેલિકોપ્ટર્સ અને 444 ટેન્કોને તબાહ કરી દીધી છે. યુક્રેને દાવો કર્યો છે કે તેણે 43 એન્ટી એરક્રાફ્ટ વોરફેયર સિસ્ટમ, 3 જહાજ, 864 ગાડીઓ, 201 આર્ટિલરી પીસ, 1455 સશસ્ત્ર વાહનો, 10 વિશેષ ઉપકરણને નેસ્તનાબુદ કરી દીધા છે. બીજીતરફ રશિયાની સેનાઓ જમીનથી લઈને આકાસ સુધી મોત વરસાવી રહી છે. યુક્રેનના શહેરોમાં ધમાકા અને ગોળીબારી થઈ રહી છે. બુધવારે ચર્નિહાઇવમાં રશિયાની એરસ્ટ્રાઇક અને ગોળીબારીમાં 53 નાગરિકોના મોત થયા છે. ચેર્નિહાઇવ ઓબ્લાસ્ટના ગવર્નર વ્યાચેસ્લાવ ચૌસે આ જાણકારી આપી છે. રશિયાની સેનાએ મારિયુપોલમાં બુધવારે એક થિએટરને ધ્વસ્ત કરી દીધુ, જ્યાં હજારો લોકોએ આસરો લીધો હતો અને અન્ય શહેરોમાં બોમ્બ ફેંક્યા હતા. પરંતુ બંને પક્ષોએ યુદ્ધ ખતમ કરવા માટે વાતચીતના પ્રયાસોને લઈને આશાવાદી વલણ દેખાડ્યું છે.
previous post