સવેરા ગુજરાત/અમદાવાદ:- શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ” અંતર્ગત ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના ૪૩ મા પીઠાર્પણ પર્વની ઉજવણી કરાઈ
શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ” અંતર્ગત ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો ૪૩ મો પીઠાર્પણ પર્વ, શ્રીમુખવાણી – શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ તથા જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો વગેરેનો અધ્યાત્મ સભર કાર્યક્રમ યોજાયો હતો. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર સનાતનધર્મસમ્રાટ્ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ શ્રી સ્વામિનારાયણ ગાદીનું ઉત્તરદાયિત્વ વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજને અર્પણ કર્યું હતું. ૪૩ મા પીઠાર્પણ પર્વે વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજને રથમાં બિરાજમાન કરી શ્રી સ્વામિનારાયણ ટાવર – સુવર્ણ તુલા સ્મારક ભવનથી સ્વાગત સામૈયું કાઢવામાં આવ્યું હતું. વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ, મણિનગરના નવલોહિયા યુવા હરિભક્તોએ કર્ણપ્રિય મધુર સૂરાવલી રેલાવી હતી. સ્વાગત સામૈયું મંદિરના શમિયાણામાં પૂર્ણ થયું હતું. ત્યારબાદ વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું ષોડશોપચાર વિધિથી પૂજન – અર્ચન, આરતી કરવામાં આવી હતી.
આ પ્રસંગે આશીર્વચન આપતાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે જણાવ્યું હતું કે, ભવિષ્યકાળને મહાન બનાવવા માટે વર્તમાનકાળને મહાન બનાવો તેના માટે મનમુખી મટી ગુરુમુખી થવું પડે. ભગવાન અને ભગવાનના સત્પુરુષોના વચન પ્રમાણે નિર્વ્યસની થઈ ભગવદ્ભક્તિ કરી મનુષ્ય જીવનને સાર્થક બનાવો. સર્વ શાસ્ત્રમાં શ્રષ્ઠ શાસ્ત્ર વચનામૃત છે. જીવાત્માને ચોખ્ખો કરાવનાર, ધર્મરૂપી, જ્ઞાન, વૈરાગ્ય, મહિમાના રત્નની ખાણ વચનામૃત ગ્રંથ છે. કારણ સત્સંગનાં શાસ્ત્રોનાં વાંચનથી અંતરશાંતિ વર્તે છે. આ અવસરને માણવા ભારતના વિવિધ રાજ્યોના તેમજ આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલીયા, યુ.કે. વગેરે દેશોમાંથી હરિભક્તોએ ઓનલાઇન દર્શનનો લ્હાવો લીધો હતો.
………………………………………………………………………………………………………………..