સવેરા ગુજરાત/ગંધીનગર:- થોડીવારમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇ ગુજરાતનું બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે. તો બીજી તરફ નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ અંગે કહ્યુ કે, આ બજેટ ચૂંટણી લક્ષી નહીં હોય. અનેક નવી જાહેરાતો આ બજેટમાં થવા જઈ રહી છે. લોકોની સુખાકારી માટે આ બજેટમાં અનેક જાહેરાતોનો સમાવેશ થયેલો છે. આ બજેટ રોજગારલક્ષી હશે. તેમજ ગુજરાતના વિકાસને આગળ વધારે તેવું બજેટ હશે.
તો ગુજરાતના બજેટ પહેલા મુખ્યમંત્રીએ કહ્યુ કે, આ બજેટ પ્રજાલક્ષી બજેટ હશે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આજે રાજ્ય સરકાર નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરશે. જે ભૂપેન્દ્ર પટેલની સરકારનું આજે પ્રથમ બજેટ રજૂ થશે. નાણામંત્રી કનુ દેસાઈ પણ વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કરશે. બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી કનુ દેસાઈ ગઈકાલે જણાવી ચૂક્યા છે કે, ખેડૂતો, યુવાનો, મહિલાઓ માટે સારું બજેટ હશે. સરકારના વર્ષ 2022-23ના બજેટને લઈ ઘણા લોકો આશા રાખીને બેઠા છે. આ ઉપરાંત ખેડૂતો માટે સરકાર કોઈ જાહેરાત કરે તેવી આશા છે. તો બીજી તરફ યુવાનો અને મહિલાઓને લઈ પણ કોઈ જાહેરાત થાય તેવી પણ શક્યતા છે.
બજેટ પર વિપક્ષ સુખરામ રાઠવાનો પલટ વાર
ગુજરાતના બજેટ પર નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ કહ્યુ કે, ભાજપના એજન્ડા પ્રમાણેનું બજેટ હશે. મતદારોને આકર્ષવા વાયદાઓની વણઝાર થશે. ખેડૂતો, વિદ્યાર્થીઓને કરેલા વાયદા પુરા નથી થયા. બજેટમાં જોગવાઈ છતાં પાણીની સમસ્યા થાય છે. રાજ્યના નાણા મંત્રી અપેક્ષાથી ભરપૂર બજેટ રજુ કરે તેવી અપેક્ષા છે. વાવાઝોડાનું વળતર હજી ચૂકવાયુ નથી. મે માસમાં પાણીની સમસ્યા સર્જાશે. બજેટની જોગાવાઇ છતાં પાણીની સમસ્યા સર્જાય છે. અધિકારીઓ રેકોર્ડ અલગ બતાવે છે અને હકીકત અલગ હોય છે. અગાઉના અનુભવ પરથી બજેટ ભાજપના એજન્ડા પ્રમાણોનું હશે.