સવેરા ગુજરાત/રાજકોટ:- ગુજરાતમાં ચૂંટણીની સીઝન આવી રહી છે. જેના પગલે તમામ પક્ષો પણ તૈયારીઓ આરંભી દીધી છે. તો બીજી તરફ વિવિધ સમાજ દ્વારા પણ પોતાની વિવિધ માંગણીઓ સાથે હવે વિવિધ પક્ષો અને સરકાર પાસે માંગણીઓ કરી રહી છે. ત્યારે ગુજરાતમાં સૌથી વધારે દબદબો ધરાવતો સમાજ પાટીદાર સમાજ પણ સરકાર સામે બાંયો ચઢાવી છે. પોતાના યુવાનો સામે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા માટેની માંગણી કરી રહ્યા છે. આ અંગે હવે વિવિધ પાટીદાર આંદોલનોએ પણ ખોંખારા ખાવાનું શરૂ કર્યું છે. રાજકોટ જિલ્લાના ખોડલધામ, કાગવડ ખાતે પાસના આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા અને ધાર્મિક માલવીયા સહિતના આગેવાનો પહોંચ્યા હતા. અહીં નરેશ પટેલ સાથે બંધબારણે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો કે પાટીદાર યુવાનો વિરુદ્ધના કેસો પરત નહી ખેંચવામાં આવે તો 6 માર્ચથી ફરી એકવાર પાટીદારો રણભેરી ફૂંકશે. આ વાતને સમર્થન કરતા દિનેશ બાંભણીયાએ સરકારને ચિમકી પણ ઉચ્ચારી હતી. હાલ તો પાસના આગેવાનો જસદણ મીટિંગ માટે રવાના થયા હતા.