ગાંધીનગર,તા.1
ભારતીય ચલણનો અસ્વીકાર કરનાર વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા માનનીય ચલણ નો અસ્વીકાર એ ગંભીર ગુનો છે. સાથે સાથે ગ્રાહક સુરક્ષા અધિનિયમ પણ ભંગ બને છે.
ત્યારે કોઈપણ વ્યક્તિ ભારતીય ચલણ નો અસ્વીકાર કરે તો કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા નિયંત્રકની ગાંધીનગરની કચેરી ખાતે ફરિયાદ કરી શકે છે. દેશના નાણાકીય ચલણનો અસ્વીકાર કરનાર સામે વિધિવત ફરિયાદ થઇ શકે છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ચલણી સિક્કાઓ ઉપરાંત નાની કિંમતની ચલણી નોટોનો અસ્વીકાર થતો હોવાની વ્યાપક ફરિયાદો તંત્રના ધ્યાન ઉપર આવી છે. જેમાં 1 ,5 કે 10 ના ચલણી સિક્કાઓનો અસ્વીકાર થતો હોવાનું બહાર આવ્યું છે.
જોકે ચલણી નોટો કે સિક્કાઓનો અસ્વીકાર કરનાર વિરુદ્ધ નાગરિકો ક્યાં ફરિયાદ કરે તેની પણ વિટંબણા હતી પરંતુ તંત્ર એ લોકોમાં જાગૃતિ આવે અને આવા તત્વો સામે દંડાત્મક કાર્યવાહી થાય જાહેરાત કરી છે કે ચલણી સિક્કાનો અસ્વીકાર કરવો એ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના એક્ટ 1934 મુજબ કાયદાનો ભંગ બને છે.
આવું કૃત્ય કરનાર સામે આ નિયમના ભંગ બદલ કાર્યવાહી પણ થઈ શકે છે . ઉલ્લેખનીય છે કે હવે નાગરિકો કોઈપણ વ્યક્તિ ચલણી સિક્કાઓનો અસ્વીકાર કરે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે ગાંધીનગર ખાતે આવેલી કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા નિયંત્રકની કચેરી 7મો માળ,ડી 1 વિંગ બ્લોક બી કર્મયોગી ભવન સેક્ટર 10/ એ ખાતે અથવા ઈ-મેઈલ tolmap-ahdgujaratgujarat.gov.in ઉપરાંત ટોલ ફ્રી નંબર 079 232 55700 ઉપર રાજ્યનો કોઇપણ નાગરિક ફરિયાદ કરી શકે છે.