રાજકોટ, તા. 31
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)નો 11મો પદવીદાન સમારંભ ગઇકાલે વિજ્ઞાનભવન સાયન્સ સીટી ખાતે યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના રાજ્યપાલ અને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના ચાન્સેલર આચાર્ય દેવવ્રતજી હતા, શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર તેમજ પદવીદાન સમારંભના મુખ્ય અતિથિ અને ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજભાઈ પટેલ, ડિપાર્ટમેન્ટ ઑફ ટેક્નિકલ એજ્યુકેશનના ચીફ સેક્રેટરી શ્રી એસ. જે. હૈદર, જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠ અને કુલસચિવ ડો. કે. એન. ખેર, બોર્ડ ઑફ ગવર્નન્સ અને એકેડમીક કાઉન્સિલના સભ્યો, ડિન અને એસોસિયેટ ડિન હાજર રહ્યા હતાં.
કુલસચિવ ડો. કે. એન. ખેર દ્વારા મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે 11માં પદવીદાન સમારંભને ડિજીટલી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠ દ્વારા જીટીયુનો વાર્ષીક અહેવાલ પણ રજૂ કરીને પદવી મેળવી રહેલા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે રાજ્યના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, જીટીયુ આયોજિત 11માં વાર્ષિક પદવીદાન સમારંભનો એક ભાગ બનીને હું ખૂબ જ ખુશ છું. આ ઉત્તમ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને યાદ કરવા જ રહ્યા. જ્યારે તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે રાજ્યમાં ટેક્નિકલ શિક્ષણને વ્યાપ વધે તે હેતુસર, વાઈબ્રન્ટ ગુજરાતના નારો આપીને રાજ્યમાં ટેક્નિકલ યુનિવર્સિટીના નિર્માણ માટેનું સ્વપ્ન સેવ્યું હતું. જે આજે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી રૂપી સોળે કલાએ ખીલેલું જોવા મળી રહ્યું છે.
પ્રધાનમંત્રીશ્રી દ્વારા આપવામાં આવેલ વાઈબ્રન્ટ ગુજરાતના નારાને ટેકનિકલ શિક્ષણ થકી જીટીયુ વિશ્વભરમાં સાર્થક કરી રહ્યું છે. રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી દ્વારા વર્ષ 2007માં ટેકનિકલ શિક્ષણ રૂપી જે બીજ રોપવામાં આવ્યા હતા, તે આજે સમગ્ર ગુજરાત, દેશ અને વિશ્વભરમાં વટવૃક્ષ બનીને ટેકનિકલ શિક્ષણનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યું છે.
પદવીદાન સમારંભના મુખ્ય મહેમાન અને ઝાયડસના કેડિલાના ચેરમેન પંકજભાઈ પટેલે વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતાં જણાવ્યું કે, તમારી અથાગ મહેનતના ફળ સ્વરૂપે આપ પદવીદાન સમારંભમાં ઉપસ્થિત છો. કારર્કિર્દી ઘડતરમાં શિક્ષણ પાયારૂપ એકમ છે. ડિગ્રી મેળવવા માટે ન માત્ર વિદ્યાર્થીઓ જ, પણ આપના પરિવારજનો અને અધ્યાપકોએ પણ અનેક સ્તરે બલિદાન આપ્યા છે. ઉચ્ચ શિક્ષણ મેળવતાં વિદ્યાર્થીઓના પરિવારનું આર્થિક તેમજ સમયનું પણ બલિદાન સામેલ હોય છે.
તેવી જ રીતે, હું નોંધ કરીશ કે જો યુનિવર્સિટીના અધ્યાપકો અને સ્ટાફ ન હોત તો આજે આપણામાંથી કોઈ અહીં હાજર ન હોત. પદવી મેળવી રહેલાં દરેક વિદ્યાર્થીઓએ આ બાબતે ગર્વ અનુભવવો જોઈએ. મને વિશ્વાસ છે કે, ભવિષ્યના પડકારો સામે ટેક્નિકલ જ્ઞાન થકી સમસ્યાનું સમાધાન લાવશો. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એ એક જ્ઞાનરૂપી વડલો છે. જેને ટૂંકા સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધા કરી શકે તેવા શ્રેષ્ઠ ટેક્નોક્રેટનું સિંચન કર્યું છે.
વિદ્યાર્થીના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપીને દરેક ક્ષેત્રોમાં વિશાળ પ્લેટફોર્મ પૂરું પાડેલ છે. આ 11માં પદવીદાન સમારંભમાં જુદા-જુદા કોર્સના 59495 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાંથી 144 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા 70 વિદ્યાર્થીઓને પી.એચ.ડીની ડિગ્રી એનાયત કરાઈ હતી. જીટીયુની પરંપરા મુજબ નવીન સાહસને પ્રોત્સાહન આપવા બાબતે રિઓલો હોલોગ્રાફિક્સ પ્રાઈવેટ લિમિટેડના માલવ શાહને શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ કર્તા માટેનો આ વર્ષેનો ગોલ્ડ મેડલ આપીને સન્માનવામાં આવ્યા છે.