દિલ્હી તા.31
રાજસ્થાનના જોધપુરમાં મોડલ ગુનગુન ઉપાધ્યાયે રાતાનાડાની હોટલના છઠ્ઠા માળેથી છલાંગ લગાવી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે તેના પિતાને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. જો કે નીચે પડયા બાદ તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી જયાં તેની હાલત સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
તબીબોનું કહેવું છે કે ઘણી ઉંચાઈથી પડી જવાના કારણે ગુનગુનની પાંસળી અને પગમાં ફેકચર થયુ છે. જો કે તેની હાલત ખતરાથી બહાર છે. પોલીસે જણાવ્યું કે ગુનગુન શનિવારે ઉદયપુરથી જોધપુર આવી હતી. તે અહી રાતનાડાની હોટલમાં રોકાઈ હતી. રવિવારે તેને તેના પિતાને ફોન કર્યો હતો. કહ્યું કે પિતાજી હું આત્મહત્યા કરવા જઈ રહી છું. બસ મારો ચહેરો જોઈ લેજો. ત્યારબાદ પિતા ગણેશ ઉપાધ્યાયે પોલીસનો સંપર્ક કર્યો હતો.
એસીપી દેશવરસિંહે ફોન નંબરના આધારે ગુનગુનનું લોકેશન ટ્રેસ કર્યુ અને સ્થળ પર પહોંચ્યા. જો કે ત્યાં સુધીમાં ગુનગુને છઠ્ઠા માળેથી છલાંગ લગાવી લીધી હતી. પોલીસે જણાવ્યું કે મોડેલને મથુરદાસ માથુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ડોકટરોનું કહેવું છે કે ગુનગુનનું ઘણુ લોહી વહી ગયુ છે તેથી અત્યારે તે વાત કરવાની સ્થિતિમાં નથી. તે ભાનમાં આવતા જ તેની પુછપરછ કરવામાં આવશે. જો કે આપઘાતનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.