નવીદિલ્હી, તા.24
કેન્દ્ર સરકાર આઈએએસ કેડર નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયના વિરોધમાં અનેક રાજ્ય સરકારો ઉતરી ગઈ છે અને તેમાં મોટાભાગની બિનભાજપી સરકારો છે. પશ્ચીમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરર્જીએ સૌથી પહેલાં આ મામલો ઉઠાવ્યો હતો અને એક સપ્તાહની અંદર બે વખત વડાપ્રધાન મોદીને આ અંગે પત્ર પણ લખ્યો છે. ત્યારબાદ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, રાજસ્થાન, તમીલનાડુ, કેરળ, સહિતના રાજ્યો પણ આ ફેરફારનો વિરોધ કરી રહ્યા છે.
મહત્ત્વની વાત એ છે કે આખરે આઈએએસ કેડર રૂલ્સ આખરે છે શું અને તેને લઈને શા માટે વિવાદ થઈ રહ્યો છે ? 12 જાન્યુઆરીએ કેન્દ્રીય મંત્રાલય દ્વારા રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો હતો કે કેન્દ્ર સરકાર આઈએએસ કેડર રૂલ્સ-1954માં ફેરફાર કરવા માંગે છે. કેન્દ્રએ રાજ્યોને 25 જાન્યુઆરી સુધી આ અંગે પોતાનો મત આપવા કહ્યું હતું. આ ફેરફાર અનુસાર રાજ્ય સરકારોના અધિકારને બાયપાસ કરી કેન્દ્ર સરકાર ગમે તે આઈએએસ અધિકારીને ડેપ્યુટેશન પર બોલાવી શકે છે.
અત્યાર સુધી એવી વ્યવસ્થા હતી કે કેન્દ્રમાં ડેપ્યુટેશન માટે રાજ્યોના આઈએએસ ઑફિસરો પોતાની ઈચ્છા વ્યક્ત કરતા હતા. ત્યારપછી રાજ્ય સરકાર પોતાના અધિકારીઓની યાદી બનાવતી અને પછી તેમાંથી ડેપ્યુટેશન પર મોકલવામાં આવતા હતા. એવું મનાય રહ્યું છે કે કેન્દ્ર સરકાર 31 જાન્યુઆરીથી શરૂ થનારા સંસદના બજેટસત્રમાં આ સંશોધનને રજૂ કરી શકે છે. એક જાન્યુઆરી-2021 સુધી દેશમાં કુલ 5200 આઈએએસ અધિકારી હતા જેમાંથી 458 કેન્દ્રમાં નિયુક્ત થયા છે
પરંતુ કેન્દ્ર સરકારના આઈએએસ કેડરના નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય અનેક રાજ્યોના અધિકારીઓને પસંદ પડી રહ્યો નથી જેના કારણે અનેક રાજ્યો હવે માંગ કરી રહ્યા છે કે આ નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં ન આવે. પશ્ચીમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરર્જીએ વડાપ્રધાનને પત્ર લખતાં ચેતવ્યા કે આ અંગે ફેરવિચારણા નહીં કરવામાં આવે તો મોટું આંદોલન કરાશે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ આ સંશોધનને ગેરવ્યાજબી ગુણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ડેપ્યુટેશનને લઈને પહેલાં પણ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ટક્કર થતી રહી છે.