રાજકોટ, તા. 10
રાજયના પૂર્વ નાણાંપ્રધાન તથા કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળાએ ચૂંટણી રાજકારણમાં નહીં આવવાનું સ્પષ્ટ કરીને યુવાનોને વધુને વધુ તક આપવાનો સૂર દર્શાવ્યો હતો. દેશમાં આજથી કોરોનાનો પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ થયું છે. વજુભાઇ વાળાએ પણ કોરોના રસીનો આ ત્રીજો ડોઝ લીધો હતો. આ તકે પત્રકારો સાથે વાતચીતમાં તેઓએ કહ્યું કે પોતે હવે ચૂંટણી લડવાના નથી. નવયુવાનોને વધુ તક મળવી જોઇએ તેમ પોતે માને છે.
તેઓએ પાટીદાર, કોળી, બ્રાહ્મણ સહિતના જ્ઞાતિ સંગઠનોએ ઉઠાવેલા અવાજ વિશે નામ લીધા વિના તેઓએ કહ્યું કે ગુજરાતમાં કયારેય જ્ઞાતિવાદનું રાજકારણ ચાલતુ નથી. ભાજપ કયારેય જ્ઞાતિજાતિવાદને વશ થયો નથી અને થશે પણ થશે પણ નહીં હું પોતે રાજકોટ-2ની બેઠક પરથી ચૂંટાતો હતો જયાં મારી જ્ઞાતિના એક ટકા મતદારો પણ ન હતા. રાજકોટમાં ભાજપના આંતરિક અસંતોષ વિશે કોઇ ફોડ પાડયા વિના એમ કહ્યું કે કાર્યકરો વચ્ચે મનદુ:ખ હોય તો પણ નિવેડો આવી જ જાય છે.