ગુજરાતમાં સૌથી વ્યસ્ત વિમાની મથક તરીકે સ્થાન મેળવતા અમદાવાદના આંતરરાષ્ટ્રીય વિમાની મથકના રન-વેનું રિકાર્પેટીંગ કામકાજ શરુ થતા આ રન-વે તા. 17 જાન્યુઆરીથી 31 મે સુધી સવારે 9 થી સાંજના 6 સુધી બંધ રહેનાર છે. જેના કારણે 33 જેટલી ફલાઈટને રદ કરવી પડી છે અને મહત્વની ફલાઈટને વડોદરા એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવશે.
આ રિ શેડ્યુલના વચ્ચે સમગ્ર રિકાપેટીંગમાં એક નવો વળાંક આવ્યો છે અને ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવીએશન દ્વારા અમદાવાદના એરપોર્ટના રન વે મેઇન્ટેનન્સમાં જબરી બેદરકારી દર્શાવવામાં આવી હતી અને રીકાર્પેટીંગ તથા પેચવર્ક થયા હતા તેની ગુણવતા મુદે પણ વિજીલન્સના રિપોર્ટની પણ અવગણના કરીને મુસાફરોની જિંદગી પર જોખમ ઉભુ કરાયો હોવાનો ધડાકો થયો છે.
એક રિપોર્ટ મુજબ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાએ અમદાવાદ એરપોર્ટના રન વેની જાળવણીમાં ગંભીર બેદરકારી સેવી હતી અને આ અંગેનો એક વિજીલન્સ રિપોર્ટ લાંબો સમય સુધી દબાવી રખાયો હતો તેમાં એવું દર્શાવાયું હતું કે રિકાર્પેટીંગના કામમાં એન્જીનીયર્સ અને અન્ય અધિકારીઓએ ગંભીર બેદરકારી દર્શાવી હતી અને નાણાકીય ગોલમાલની પણ શક્યતા છે જેમાં કેટલાક અધિકારીઓ સામે ચાર્જશીટ મુકાયા છે. છતાં પણ ટોપ મેનેજમેન્ટ કે જે આ સમગ્ર રીકાર્પેંટીંગના કામના સંચાલન અને દેખરેખ માટે જવાબદાર ગણાય છે તેને છાવરવામાં આવ્યા હતા.
રન વે રીકાર્પેટીંગમાં અત્યંત નબળી ગુણવત્તાની મટીરીયલનો ઉપયોગ થયો તો એટલું જ નહીં આ મટીરીયલનો વધેલો કચરો અને ખુલ્લી ગટરો આજે પણ રન વેના છેડે પડયા છે તેનાથી ફલાઈટના ઓપરેશન સામે મોટુ જોખમ સર્જાઇ શકે છે. આ રન વે રીકાપેટીંગના જંગી ખર્ચ માટે તપાસ કમીટીની રચના કરવામાં ેઆવી હતી તેને પણ કોઇ પરિણામદર્શક અભિપ્રાય આપ્યો હતો.
હાલમાં જ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવીએશનના ઇન્સેપકશનના આ ગેરરીતિ બહાર આવી છે અને તેને છાવરવાનો પ્રયાસ પણ ખુલ્લો પડી ગયો હતો અને હવે ફરી જ્યારે રીકાર્પેટીંગનો પ્રશ્ર્ન આવ્યો છે ત્યારે ઓથોરીટી કઇ રીતે કામ લે છે તેના પર સૌની નજર છે. અમદાવાદ એરપોર્ટ પરના આ કૌભાંડથી અન્ય એરપોર્ટમાં પણ તપાસ થશે તેવા સંકેત છે.