કેન્દ્ર સરકારે ડુંગળીના વધી રહેલા ભાવને નિયંત્રણમાં રાખવા માટે નાસીકમાં સાત જેટલા ડુંગળીના વેપારીઓ પર ઇન્કમટેક્સની રેડ પડાવી હતી. જેના ભયના કારણે ડુંગળીના ભાવમાં ઝડપી ઘટાડો આવ્યો છે. નાસીકની લાસણગાંવ મંડીમાં ડુંગળીના ભાવ વધીને 10 દિવસ પહેલા રુા.4000 પ્રતિ ક્વિન્ટલની સપાટી પર પહોંચ્યા હતા. જે છ મહિનાના સૌથી ઉંચા ભાવ હતા.
સરકારના દરોડા બાદ ડુંગળીના ભાવ ઘટીને નાસીકમાં રુા. 3000ની અંદર આવી ગયા. રીટેલ બજારમાં ડુંગળીના ભાવ રુા. 50ની ઉંચી સપાટી પર પહોંચી ગયા હોવાથી સરકારે આ પગલા લીધા હતા.
ડુંગળીના ભાવ વધતા વેપારીઓએ સંગ્રહખોરી ચાલુ કરી દીધી હતી. તહેવાર સમયે ગરીબોની કસ્તુરી એવી ડુંગળી લોકોને રડાવી દે તેવી સ્થિતિ સર્જાણી હતી.
ડુંગળીના ભાવ ઘટતા આવક પણ ઘટાડી દેવાય છે. સરકારના સર્ચ ઓપરેશનની ખેડૂતોને જાણ થયા બાદ તેઓ હાલ ડુંગળી લાવવાનું ટાળી રહ્યા છે. ભાવ જ્યારે ફરી સુધરશે ત્યારે માલ લાવશે.
નાફેડ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 80થી 90 હજાર ટન ડુંગળી દેશના વિવિધ મોટા શહેરોમાં રિલીઝ કરવામાં આવી છે. પરંતુ હવે નાફેડ પાસે પણ ડુંગલીનો બહુ મોટો સ્ટોક ન હોવાની સંભાવના છે.