ગુજરાતમાં કોરોના મહામારીમાં રાહત મળ્યા બાદ કરફયુ મુક્તિ જેવા કદમ ઉઠાવવામાં આવ્યા હતા જે દરમિયાન માર્ગ અકસ્માતો વધી ગયા હોવાનો રિપોર્ટ જારી થયો છે. રાજ્યમાં ગત એપ્રિલમાં કોરોના નિયંત્રણો લાગુ હતા ત્યારે નોંધાયેલા અકસ્માતો કરતા ઓક્ટોબરમાં સંખ્યામાં બે થી ચાર ગણી થઇ ગઇ છે.
ગુજરાતમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા પ્રદાન કરતી જીવીકે ઇએમઆરઆઈના આંકડાકીય રિપોર્ટ પ્રમાણે ગત એપ્રિલમાં દરરોજ સરેરાશ 177 માર્ગ અકસ્માતો થતા હતા તે સંખ્યા ઓક્ટોબરમાં વધીને 368ની થઇ છે. એપ્રિલમાં મધરાત્રે 12 વાગ્યે સરેરાશ 2 તથા સાંજે સાત વાગ્યે 11 અકસ્માતો થતા હતા તે ઓક્ટોબરમાં મધરાત્રે 12 વાગ્યે સરેરાશ 8 અકસ્માત નોંધાયા છે જ્યારે સાંજે સાત વાગ્યાના અકસ્માતોની સંખ્યા 36 પર પહોંચી છે.
ટ્રાફિક નિષ્ણાંતોના કહેવા પ્રમાણે આડેધડ તથા બેદરકારીપૂર્વકનું ડ્રાઈવીંગ અકસ્માતો માટે જવાબદાર છે. વાસ્તવમાં ટ્રાફીક સંચાલન અસરકારક બનાવવાની જરુર છે. ટ્રાફીક સલાહકાર સમિતિના સભ્ય ડો. પ્રવિણ કાનાબારના કહેવા પ્રમાણે એપ્રિલની સરખામણીએ ઓક્ટોબરમાં અકસ્માતો વધુ હોવાનું સ્વાભાવિક છે. કારણ કે એપ્રિલમાં કરફયૂ સહિતના નિયંત્રણો હતા એટલે વાહન વ્યવહાર ઓછો રહેતો હતો.
હવે બધુ ખુલી ગયું છે. સાંજે નોકરી-ધંધા પુરા કરીને ઘેર પહોંચવાની ઉતાવળમાં લોકો અકસ્માતો સર્જી બેસે છે. અકસ્માતો પાછળનું મુખ્ય કારણ બેદરકારી છે. બીજાની ચિંતા કર્યા વિના વાહનચાલકો સ્વાર્થી બનીને આડેધડ વાહનો ચલાવે છે. લોકડાઉન વખતે પણ લોકો બહાર નિકળી પડતા હતા અને સાંજથી રાત દરમિયાન 108 સર્વિસને સરેરાશ 120 કોલ મળતા હતા.