તાલિબાનના નિયંત્રણ હેઠળની અફઘાનિસ્તાન નાગરિક ઉડ્ડયન સત્તામંડળે ભારતને પત્ર લખીને બંને દેશો વચ્ચે કોમર્શિયલ ફ્લાઇટ ફરી શરૂ કરવા માટે પત્ર લખ્યો છે. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે તાલિબાનની વિનંતીને ફગાવી દીધી છે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લી કોમર્શિયલ ફ્લાઇટ 15 ઓગસ્ટના રોજ ઉડી હતી. તાલિબાને કાબુલ કબજે કર્યું તે દિવસે એર ઇન્ડિયાની ફ્લાઇટ કાબુલથી દિલ્હી આવી હતી. ત્યારબાદ 16 ઓગસ્ટે નાગરિક ઉડ્ડયન ઓથોરિટી એ અફઘાનિસ્તાનના હવાઈ ક્ષેત્રને અનિયંત્રિત જાહેર કર્યું.
ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ને લખેલા પત્રમાં CAAના કાર્યકારી મંત્રી અલહજ હમીદ્દુલ્લાહ અખુંદજાદાએ લખ્યું હતું કે, “તમે જાણો છો તેમ, તાજેતરમાં જ પ્રસ્થાન પહેલા અમેરિકી દળો દ્વારા કાબુલ એરપોર્ટને ખરાબ રીતે નુકસાન કરાયું હતું.” કતારની ટેકનિકલ સહાયથી એરપોર્ટ ફરી એકવાર કાર્યરત થઈ ગયું છે.
હવે બંને દેશો વચ્ચેના કરારના આધારે પ્રવાસીઓની સરળ અવરજવર માટે કોમર્શિયલ ફ્લાઇટ્સ શરૂ કરવી જોઈએ. અમારી રાષ્ટ્રીય કેરિયર એરિયાના અફઘાન એરલાઇન્સ અને કામ એરને ડીજીસીએ દ્વારા ભારત માટે શેડયુલ્ડ ફ્લાઇટ્સ શરૂ કરવાની મંજૂરી આપવી જોઈએ.