ગુજરાતના વડગામમાં અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ દિલ્હીમાં કનૈયા કુમારની સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. કનૈયા કુમાર વિધિવત રીતે કોંગ્રેસની સાથે જોડાયો છે પણ જિગ્નેશ મેવાણી વિધિવત રીતે કોંગ્રેસની સાથે જોડાયો નથી. એટલે જિગ્નેશ મેવાની શા માટે કોંગ્રેસની સાથે વિધિવત રીતે નથી જોડાયો તેને લઇને ઘણી અટકળો શરૂ થઇ છે. ત્યારે જિગ્નેશ મેવાણીએ તેમના એક ઈન્ટરવ્યૂમાં તે શા માટે કોંગ્રેસમાં વિધિવત રીતે નથી જોડાયા તેનું કારણ જણાવ્યુ હતું.
ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યુ હતું કે, ટેકનીકલી એવો ઈશ્યુ છે કે હું ધારાસભ્ય તરીકે કન્ટીન્યુ ન કરી શકું. રાહુગાંધી સાથે પણ વાત થઇ છે. પણ મારી પોતાની રીતે કહું કે મારો પોતાનો આત્મા નહોતો માનતો. હું મારા પદ માટે હું મારા મત વિસ્તારના લોકોને ધારાસભ્ય વગરના નથી કરવા માગતો. હું આજે જે પણ છું તેમાં વડગામના લોકોનું ખૂબ જ મોટું યોગદાન છે. હું એમને દુઃખી કરીને આ નથી કરવા માગતો. યુવાનેતાઓ અને સિનિયર નેતાઓની વચ્ચે તાલમેલ બેસાડીને પાર્ટી અને ગુજરાતના હિતમાં કામ કરીશ. હું વડગામથી જ લડીશ અને કોંગ્રેસમાંથી જ લડીશ. તેની જાહેરાત યોગ્ય સમયે થશે. પાર્ટી જે તે સમયે નિર્ણય લેશે.
કોંગ્રેસમાં શા માટે જોડાવું છે તે બાબતે જિગ્નેશ મેવાણીએ જણાવ્યુ હતું કે, અત્યારે RSS અને ભાજપથી દેશને ખૂબ જ મોટું જોખમ સર્જાયું છે. દેશના બંધારણને અને લોકતંત્રને ખૂબ મોટી હાની પહોંચાડવામાં આવી છે. નથુરામ ગોડસેના સ્વપ્નનાના ભારતની રચના કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. આપણે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને બાબાસાહેબ આંબેડકરના સ્વપ્નના ભારતની રચના કરવાના પ્રયત્નો કરી રહ્યા છે, એટલે આમને કોઈ પણ સંજોગોમાં રોકવામાં આવે. તેમને રોકવા માટે અત્યારે સૌથી મોટું પ્લેટફોર્મ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જ છે. આ લોકતંત્ર અને બંધારણને બચાવવા માટેની લડતનો એક ભાગ છે.
કોંગ્રેસમાં હાર્દિક પટેલ હોવા બાબતે જિગ્નેશ મેવાણીએ જણાવ્યુ હતું કે, હું અને હાર્દિક અત્યારે કોંગ્રેસમાં સાથે મળીને યુવા નેતાઓ અને સિનિયર નેતાઓ વચ્ચે તાલમેલ બેસાડીશું. અમે બધા એક સાથે મળીને જ કામ કરીશું. હું અને હાર્દિક એકબીજાની સાથે મળીને સેતુનું કામ કરીશું.