અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો 71 મો જન્મદિવસ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે બાપુનગરમાં વૃક્ષારોપણ કરીને ઉજવ્યો હતો. જેમાં ઉજવણી માટે બાપુનગર લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે 71 હજાર વૃક્ષો વાવવામાં આવશે. તેમજ એક સપ્તાહમાં 1,25,000 વૃક્ષો વાવવામાં આવશે. તેમજ શહેરની મધ્યમાં વન બનાવવામાં આવશે.
આ 21,000 વૃક્ષો શહેરના ગ્રીન કવર વિસ્તારને વધારવામાં મદદરૂપ થશે તેમ જણાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના શહેરો અને મહાનગરોમાં વધુને વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ જાળવવા માટે ગ્રીન કવર વધારવામાં આવશે જેથી બધાને શુદ્ધ ઓક્સીજન મળે.
તેમણે કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ લોકભાગીદારીથી વન મહોત્સવને જન મહોત્સવ બનાવ્યો છે અને રાજ્યમાં વિવિધ સ્થળોએ રાશી વન, નક્ષત્ર વન જેવા 21 વનો નું નિર્માણ કરવામાં આવ્યું છે.
સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે એમ પણ ઉમેર્યું હતું કે ગુજરાતમાં આ વનીકરણના પરિણામે ગુજરાતમાં દોઢ – બે દાયકામાં રાજ્યમાં બિન-વન વિસ્તારોમાં 58% ના વધારા સાથે 39.75 કરોડ વૃક્ષો છે.
“મિશન મિલિયન ટ્રીઝ” અભિયાનને વેગ આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમદાવાદના સાંસદ હસમુખભાઇ પટેલ, કિરીટભાઇ સોલંકી, ધારાસભ્ય પ્રદિપસિંહ જાડેજા, વલ્લભભાઇ કાકડીયા, અમદાવાદ શહેરના મેયર કિરીટભાઇ પરમાર, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન હિતેશભાઇ બારોટ, કોર્પોરેટર પક્ષના નેતા ભાસ્કરાભાઇ ભટ્ટ અને મોટી સંખ્યામાં નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.