સવેરા ગુજરાત, ગાંધીનગર ,તા.27
ગાંધીનગર : ૭૫ મા પ્રજાસત્તાક દિવસની સંધ્યાએ રાજભવનના મહર્ષિ દયાનંદ સભામંડપમાં ‘એટ હૉમ’ કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રભક્તિના માહોલમાં યોજાયેલા આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાગરિકોને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ‘એટ હૉમ’ માં પધારેલા રાજ્યના આગેવાન નાગરિકોને સંબોધતાં કહ્યું હતું કે, દેશની આઝાદી માટે જીવ ન્યોચ્છાવર કરનાર ક્રાંતિવીરો અને લોકતાંત્રિક વ્યવસ્થાના ઘડવૈયાઓના બહુમૂલ્ય યોગદાનને કારણે પ્રજાસત્તાક ભારત આજે વિશ્વના માનચિત્ર પર મજબૂતીથી ઉભો છે.
ગણતંત્ર દિવસે દેશમાં સદભાવનાનું વાતાવરણ છે, એમ કહીને રાજ્યપાલશ્રીએ કહ્યું કે, અયોધ્યામાં માત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિર કે મૂર્તિની સ્થાપના નથી થઈ, ભારતના ગૌરવ અને પ્રતિષ્ઠાની સ્થાપના પણ થઈ છે. સ્વાભિમાન અને સાંસ્કૃતિક મૂલ્યોની પણ સ્થાપના થઈ છે. ભારતની આવનારી યુવા પેઢીમાં પ્રેરણાદાયી દિવ્ય ગુણોની પણ સ્થાપના થઈ છે. રામ એ સમસ્ત ભારતના પૂર્વજ હતા. રામનું જીવન આદર્શ હતું. મંદિર અને મૂર્તિની સ્થાપનાથી ભારતની આવનારી પેઢીનું જીવન રામ જેવું આદર્શ થશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. ભારત આર્થિક રીતે તો સંપન્ન થાય જ સાથોસાથ દેશની યુવા પેઢીનું જીવન પણ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાથી સમૃદ્ધ-આદર્શ હોય એ જરૂરી છે. જ્યાં ભૌતિકતા સાથે આધ્યાત્મિકતા જોડાય ત્યાં આનંદ હોય. જ્યાં માત્ર અર્થતંત્રનો કે ભૌતિક વિકાસ હોય ત્યાં પૂર્ણ શાંતિ ન હોઈ શકે. સંપન્નતામાં અશાંતિ કે હતાશા હોઈ શકે, અભાવમાં પણ જીવનનો આનંદ હોય એ ભારતની આધ્યાત્મિકતા છે, સાંસ્કૃતિક વિરાસત છે. જ્યાં વિચાર સમૃદ્ધ હશે ત્યાં જ સમૃદ્ધિનો વિકાસ થશે. વિચાર અને વિકાસ સાથે જ ચાલે છે.
ભારત અને ભારતીયોમાંથી ગુલામીની માનસિકતા જડમૂળથી નષ્ટ કરવાનો અમૃતકાળનો સંકલ્પ છે, એમ કહીને રાજ્યપાલએ કહ્યું કે, વિશ્વમાં પણ ભારતના ગૌરવ અને ગરીમા વધ્યા છે ત્યારે આપણે સૌ ભારતીયો મહેનત અને પરિશ્રમથી પોતાના કર્તવ્યોનું પાલન કરીએ.