સવેરા ગુજરાત,અમદાવાદ,તા.26
પ્રજાસત્તાક દિન નિમિત્તે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ ધ્વજવંદન કર્યું હતું. આ દરમિયાન ઈસુદાનભાઈ ગઢવી સાથે સાથે પ્રદેશ ઉપપ્રમુખ જે જે મેવાડા, અમદાવાદ શહેર પ્રમુખ બીપીનભાઈ પટેલ સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન કર્યા બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ એક વીડિયોના માધ્યમથી તમામ ગુજરાતીવાસીઓને અને દેશવાસીઓને પ્રજાસત્તાક દિન નિમિત્તે શુભકામનાઓ આપીને પોતાનો સંદેશ આપતા કહ્યું હતું કે, હું તમામ ગુજરાતવાસીઓને અને દેશવાસીઓને ગણતંત્ર દિવસની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું. 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું અને ત્યારથી તમામ ધર્મ, જાતિ અને વર્ગના લોકોને સમાન અધિકાર મળ્યા હતા. તમામ અમીર અને ગરીબોને એક કાનૂન અંતર્ગત લાવવામાં આવ્યા.
આપણા દેશનું આ બંધારણ બાબાસાહેબ આંબેડકર અને તેમની ટીમે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની સખત મહેનત અને 60 દેશોના બંધારણનો અભ્યાસ કરીને બનાવ્યું હતું. હું તમામ જનતાને અપીલ કરું છું કે તમામ લોકોએ 26મી જાન્યુઆરી અને 15 મી ઓગસ્ટ જે આપણા રાષ્ટ્રીય તહેવારો છે, તેને ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવા જોઈએ. જેનાથી આ તહેવારો વિશેની જાગૃતિ લોકો સુધી પહોંચે. પહેલા રાજાશાહી હતી અને આપણા પર નિયમો થોપવામાં આવતા હતા, પરંતુ બંધારણ આવ્યા બાદ આપણે લોકોને ચૂંટિયે છીએ અને એ લોકો સત્તામાં આવે છે. આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી. મતદાન મુદ્દે પણ જાગૃતિ કેળવાય તે પણ ખૂબ જ જરૂરી છે. જેનાથી સારા લોકો અને સારી સરકારો ચૂંટાય. તમારા અને મારા અધિકારો માટે લડનારા પૂર્વજો અને આજના લડવૈયાઓને આપણે સૌ સાથ આપીએ તેવી અપીલ કરું છું.