સવેરા ગુજરાત,ગાંધીનગર તા.20
ગાંધીનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનાની ઉજવણીનું આહવાન કરવામાં આવેલ. જેના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સૂચનાથી સમગ્ર શહેરમાં દિવાળી બાદ જમા થયેલ કચરાના નિકાલ માટે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. જે સંદર્ભે આજ રોજ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. “દિવાળી” તહેવાર બાદ જમા થયેલ કચરો જેમ કે ફટાકળા, આસ્થા અને શ્રધ્ધાના ભાગરૂપે નગરજનોએ ચાર રસ્તે મૂકેલ માતાજીની મૂર્તિઓ, ખંડિત મંદિર, ફૂલોના હાર, માટલી, ચુંદડી, નાળિયેર, વગેરે જેવી વસ્તુઓનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગરના તમામ ૧૧ વોર્ડમાં સવારે ૦૮:૩૦ વગ્યાથી આ સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગરમાં સેક્ટર- ૨૬ ડીમાર્ટ, પેથાપુરનું દિપોમાં ચોક, સેક્ટર-૨૪ની પોસ્ટ કોલોની, ધોળાકુવા ગામ, અક્ષરધામ મંદિર, સેક્ટર-૧૧નું કોમર્શિયલ વિસ્તાર, વાવોલમાં સિધ્ધાર્થ બંગ્લોઝ થી સધીમાતાનું મંદિર, ખ-રોડ પર, કુડાસણ –અપના અડ્ડા ટી સ્ટોલ સર્વિસ રોડ, ધોળેશ્વર મહાદેવ મંદિર તેમજ નર્મદા કેનાલ આસપાસ સફાઇ કરવામાં આવી હતી. સમગ્ર ઝુંબેશ દરમિયાન કુલ ૩૦.૦૩ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશમાં ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંતભાઇ પટેલ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને સ્થાનિક કાઉન્સિલરો જોડાયા હતા.