નવી દિલ્હી, તા. 30
દેશમાં કોરોના કાળમાં અનાથ થયેલા બાળકો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂા. પાંચ લાખ સુધીની મફત તબીબી સારવાર સહિતની યોજનાઓ જાહેર કરી છે. આજે દેશભરમાં કોરોના પીડિત અને અનાથ થયેલા બાળકોને વર્ચ્યુઅલ સંબોધનમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે કોવિડમાં જે લોકોએ પોતાના નજીકના કુટુંબીજનોને ગુમાવ્યા છે તેની પીડા હું સમજી શકું છું અને ખાસ કરીને બાળકોના જીવનમાં જે મુશ્કેલીભર્યો સમય આવ્યો છે તેમાં સરકાર મદદરૂપ થવા માટે પીએમ ચિલ્ડ્રન કેર્સ ફંડ મારફત આગળ આવ્યું છે.
મોદીએ જાહેરાત કરી કે કોવિડ સમયમાં અનાથ બનેલા બાળકોને સરકાર રૂા. પાંચ લાખ સુધીની તબીબી સહાય આયુષ્યમાન ભારત યોજના હેઠળ આપશે અને આ માટેના ખાસ કાર્ડ પણ ઇસ્યુ કરવામાં આવશે. મોદીએ પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું હતું કે આ બાળકો 18 થી ર3 વર્ષના થાય તે સમય દરમ્યાન તેઓને દર મહિને રૂા. 4000નું સ્ટાઇપેન્ડ તેમના ટેકનીકલ અને પ્રોફેશ્નલ કોર્સ માટે આપવામાં આવશે અને સાથોસાથ જયારે આ બાળક 23 વર્ષના થાય ત્યારે તેમના બેંક ખાતામાં રૂા. 10 લાખની સહાય એકી સાથે મળશે.
વડાપ્રધાને આજે કોરોના પીડિત બાળકોના અભ્યાસ માટેની સ્કોલરશીપ તેમના બેંક ખાતામાં જમા થાય તે માટેની પ્રક્રિયા કરી હતી. મોદીએ જણાવ્યું કે સરકાર દ્વારા બાળકોની મુશ્કેલી ઓછી કરવા આ નાનો પ્રયાસ છે પરંતુ આ બાળકો પોતાનું શિક્ષણ પુરૂ કરે અને ભવિષ્યની ચિંતા તેઓને રહે નહીં તે માટે સરકાર તેમની સાથે છે.
બીજી તરફ વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયું હતું કે, આ યોજનાનો લાભ કોવિડ-19ના સમયગાળામાં 11 માર્ચ, 2020થી 18 ફેબ્રુઆરી 2022ના તબકકામાં કોવિડના કારણે જે બાળકોએ માતા પિતા બંને અથવા બાળકના કાનુની વાલી કે જેઓને દત્તક લેવાયા હોય તેવા બાળકોના માતા-પિતાનું નિધન થયું હોય તેઓને આ યોજનાનો લાભ મળશે અને રાજય સરકાર દ્વારા કોવિડના અનાથ બાળકો માટે જે યોજના જાહેર કરવામાં આવી છે તે અલગથી રહેશે.