સવેરા ગુજરાત,વારાણસી, તા.૨૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વારાણસીના ગંજારીમાં પૂર્વાંચલના પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનું ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીની વારાણસીની આ ૩૧મી મુલાકાત છે. આ દરમિયાન તેમણે વારાણસી સહિત સમગ્ર રાજ્યને રૂ. ૧,૫૬૫ કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપી હતી.પીએમ મોદીના આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના ત્રીજા ઈન્ટરનેશનલ ક્રિક્ટ સ્ટેડિયમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. આ દરમિયાન બીસીસીઆઈના ચીફ રોઝર બિન્ની સહિત અનેક પૂર્વ ક્રિકેટર હાજર રહ્યા હતા. જેમાં ‘ક્રિકેટના ભગવાન’ કહેવાતા સચિન તેંડુલકર સહિત ૧૯૮૩ વર્લ્ડકપ વિજેતા ટીમ રવિ શાસ્ત્રી, સુનિલ ગાવસ્કર અને કપિલ દેવ પણ હાજર રહ્યા હતા.ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનું ખાતમુહૂર્ત કરતી વખતે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, મહાદેવની નગરી કાશીમાં બનવા જઈ રહેલા આ સ્ટેડિયમની ડિઝાઈન સ્વયં મહાદેવને જ સમર્પિત કરવામાં આવી છે. પીએમ મોદીએ આગળ કહ્યું કે, આગામી દિવસોમાં ક્રિકેટ મેચોની સંખ્યા પણ વધવા જઈ રહી છે તો આવી સ્થિતિમાં જ્યારે મેચ વધશે તો નવા સ્ટેડિયમની પણ જરૂર પડશે. જેના કારણે આ સ્ટેડિયમ પૂર્વાંચલનું આભૂષણ બનશે.પીએમ મોદીનું કહેવું છે કે, ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ બનવાથી કાશીના લોકોને ફાયદો થશે. જેના કારણે રોજગારીની નવી તકો ઉભી થશે અને યુવાનોને રમતગમતમાં જાેડાવાની તક મળશે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે અમે રમતગમતને તેમની કારકિર્દીમાં જાેડ્યા છે. ખેલો ઈન્ડિયાનું બજેટ ગત વર્ષની સરખામણીમાં આ વખતે ૭૦ ટકા વધ્યું છે.પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આગળ કહ્યું કે, ભારતના દરેક ગામમાં રમતગમતના મહારથીઓ છે તેમને ઓળખવા ખૂબ જ જરૂરી છે. દેશના નાનામાં નાના ગામડાઓમાંથી બહાર આવીને યુવાનો સમગ્ર વિશ્વમાં દેશનું ગૌરવ બની રહ્યા છે. આપણે આ પ્રતિભાને મહત્તમ તકો આપવાની અને તેને નિખારવાની જરૂર છે. ખેલો ઇન્ડિયા અભિયાનથી આજે દેશના દરેક ખૂણેથી પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ કરવામાં આવી રહી છે. જેમને પ્રોત્સાહન આપવા માટે સરકાર કામ કરશે.