સવેરા ગુજરાત,ઉત્તર પ્રદેશ, તા.૧૫
ઉત્તર પ્રદેશથી મોટા સમાચાર આવી રહ્યા છે. માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ પર પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે ફાયરિંગ થયું. જેમાં તેમનું મોત થયું હોવાના સમાચાર છે. અતીક અહેમદ અને અશરફને મેડિકલ માટે લઈ જવાઈ રહ્યા હતા ત્યારે આ હુમલો થયો. બંનેના મૃતદેહોને મેડિકલ કોલેજની અંદર લઈ જવામાં આવ્યા. ઘટનાસ્થળે જય શ્રીરામના નારા પણ સંભળાયા હોવાનું કહેવાય છે. પોલીસ આ મામલે તપાસમાં લાગી છે. મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કોલ્વિન હોસ્પિટલ પાસે આ હુમલો ત્યારે થયો જ્યારે પોલીસની ટીમ અતી અને અશરફને લઈને જઈ રહી હતી. આ દરમિયાન ત્રણથી ચાર હુમલાખોર અચાનક આવી પહોંચ્યા અને તાબડતોડ ફાયરિંગ શરૂ કરી દીધુ. આ સમગ્ર હુમલો મીડિયા અને પોલીસ સામે અંજામ આપવામાં આવ્યો. બંને આરોપીઓ પર જ્યારે ફાયરિંગ થયું તે ઘટના કેમેરામાં પણ કેદ થઈ છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ ગુરુવારે યુપીના ઝાંસીમાં યુપી એસટીએફએ અતીક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર કર્યું હતું. આ સાથે શૂટર ગુલામને પણ ઠાર કર્યો હતો. એસટીએફની ટીમ છેલ્લા દોઢ મહિનાથી અસદ અહેમદ અને ગુલામને ટ્રેસ કરી રહી હતી. આ એન્કાઉન્ટર યુપી એસટીએફના ડેપ્યુટી એસપી નવેન્દુ અને ડેપ્યુટી એસપી વિમલના નેતૃત્વમાં થયું હતું. અસદ પર પાંચ લાખનું ઈનામ હતું. અસદ અને શૂટર મોહમ્મદ ગુલામ પાસે એક બ્રિટિશ બુલ ડોગ રિવોલ્વર અને પિસ્તોલ પણ મળી આવ્યા હતા.પ્રયાગરાજમાં ૨૪ ફેબ્રુઆરીએ થઈ હતી ઉમેશ પાલની હત્યા.યુપીના પ્રયાગરાજમાં ૨૪ ફેબ્રુઆરીના રોજ ઉમેશ પાલ અને તેમના બે સુરક્ષાકર્મીઓની બદમાશોએ ગોળી મારીને હત્યા કરી હતી. ઉમેશ પાલ પ્રયાગરાજમાં થયેલા રાજૂ પાલ હત્યાકાંડમાં મુખ્ય સાક્ષી હતા. ઉમેશ પાલ જેવા પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યા કે બદમાશોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન તેમની અને તેમના એક ગનરની ગોળી વાગવાથી મૃત્યુ થયું. જ્યારે બીજા ગનરનું સારવાર દરમિયાન મોત થયું. બદમાશોએ આ હત્યાકાંડને ૪૪ સેકન્ડમાં અંજામ આપ્યો હતો. આ હત્યાકાંડમાં અતીક પર ષડયંત્ર રચવાનો આરોપ હતો.