નવીદિલ્હી, તા.23
ચીનમાં સતત વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પણ સાવચેત બની ગઈ છે. દરમિયાન આજે બપોરે ત્રણ વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે કોવિડ-19ની સ્થિતિ અને તૈયારીઓને લઈને બેઠક કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે કોવિડ-19 માટે સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રતિક્રિયાની સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધન કર્યું જેમાં જિનોમ સિક્વન્સીંગ તેમજ ટેસ્ટીંગમાં વધારા પર ધ્યાન આપવા સાથે મજબૂત ઓબ્ઝર્વેશનની આવશ્યક્તા ઉપર જોર આપ્યું હતું.વડાપ્રધાન મોદીએ લોકોને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની અપીલ કરી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને કાલથી એરપોર્ટ ઉપર દરેક આંતરરાષ્ટ્રીય ઉડાન મારફતે આવનારા યાત્રિકોમાંથી 2%ના આગમન બાદ કોવિડ ટેસ્ટીંગ કરવા માટે કહ્યું હતું જેથી દેશમાં કોરોના વાયરસના કોઈ પણ નવા વેરિયેન્ટના પ્રવેશને ટાળી શકાય. બીજી બાજુ કોરોનાની આશંકા વચ્ચે રાજ્ય સરકારો પણ સાવચેત બની ગઈ છે. અધિકારીઓ બેઠક કરી કોરોનાથી બચવા માટેની રણનીતિ બનાવવામાં લાગી ગયા છે.આ સાથે જ કોરોના ટેસ્ટીંગ ઝડપી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. સંક્રમણથી બચવા માટે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે અનેક દેશોમાં કોરોના કેસો વધી રહ્યા છે. જો કે કોરોનાના નવા વેરિયેન્ટનો એક પણ કેસ અત્યારે દિલ્હીમાંથી મળ્યો નથી. જો કે આ વેરિયેન્ટ અહીં ન ફેલાય તે માટે સરકાર સંપૂર્ણ સજ્જ હોવાનું તેમણે કહ્યું હતું. આવી જ રીતે કર્ણાટકે ચીન સહિત દુનિયાના અન્ય દેશોમાં કોરોના કેસોમાં વધારા વચ્ચે રાજ્યમાં ઈન્ફ્લુએન્જા જેવી બીમારી અને શ્વાસની ગંભીર બીમારીઓનું ટેસ્ટીંગ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે.મુખ્યમંત્રી બસવસરાજ બોમ્મઈની અધ્યક્ષતામાં કોવિડ-19ના વિષય પર મળેલી બેઠક બાદ સ્વાસ્થ્ય મંત્રી ડૉ.કે.સુધાકરે કહ્યું કે સરકારે બંધ જગ્યાઓ અને એ.સી.રૂમમાં માસ્ક પહેરવું ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. આવી જ રીતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કોરોના સામે લડવા આજે ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી છે. બીજી બાજુ સ્વાસ્થ્ય વિભાગે કોરોના બચાવને લઈને માર્ગદર્શિકા જાહેર કરવા માટે ગૃહ વિભાગને પત્ર લખ્યો છે.