સવેરા ગુજરાત,ભરૂચ,તા.૨૭
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ પાર્ટીઓએ પ્રચાર પ્રસાર તેજ કર્યો છે. પોતાના ઉમેદવારને જીતાડવા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આજે વડાપ્રધાન ત્રણ જગ્યાએ સભા ગજવશે. નેત્રંગ, ખેડા અને સુરતમાં વડાપ્રધાનની સભાનું આયોજન કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેત્રંગ ખાતે વિજય સંકલ્પ સંમેલનમાં પહોંચ્યા છે.રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ પક્ષોએ જીત મેળવવા એડીચોટીનું જાેર લગાવ્યું છે. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારની કમાન સંભાળી છે. ત્યારે આજે ફરી ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે.બપોરે વડાપ્રધાનની પ્રથમ સભા ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે યોજાશે. જે બાદ વડાપ્રધાન ખેડા ખાતે વિજય સંકલ્પ સંમેલનમાં હાજરી આપશે. ત્યારબાદ સાંજે સુરતના મોટા વરાછામાં સભાને સંબોધશે. વડાપ્રધાનના કાર્યક્રમોને લઈ તમામ તૈયારીઓ પુર્ણ કરવામાં આવી છે.ખેડા જિલ્લાની ૬ બેઠકો જાેઈએ તો ૧૧૫ માતર, ૧૧૬ નડિયાદ, ૧૧૭ મહેમદાવાદ, ૧૧૮ મહુધા, ૧૧૯ ઠાસરા અને ૧૨૦ કપડવંજમા ત્રિપાંખિયો જંગ જામશે. અગાઉ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં માતર બેઠક પર ભાજપના ઉમેદવાર કેસરીસિંહ જયસિંહ સોલંકી જીત્યા હતા. નડિયાદ બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજભાઈ વિનુભાઇ દેસાઈ વિજેતા થયા હતા. મહેમદાવાદ બેઠક પર ભાજપના ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણે જીત મેળવી હતી. મહુધા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રજીતસિંહ પરમારનો વિજય થયો હતો. ઠાસરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ સોઢા પરમાર જીત્યા હતા. જ્યારે કપડવંજ બેઠક પર કોંગ્રેસના કાળુસિંહ ડાભીએ જીત મેળવી હતી. આમ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની ૬ બેઠક પૈકી ૩ બેઠક પર ભાજપ જ્યારે ૩ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.