નવી દિલ્હી,તા. 21
2023-24ના કેન્દ્રીય બજેટની તૈયારીઓ શરુ થઇ ગઇ છે અને નાણા મંત્રાલય દ્વારા વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિ મંડળો સાથે યોજાયેલી બેઠકમાં કો-ફેડરેશન ઓફ ઇન્ડીયન ઇન્ડસ્ટ્રીઝએ લોકો વધુ ખર્ચ કરે તે માટે તેના હાથમાં વધુ નાણા આપવા અને ખાસ કરીને વ્યક્તિગત આવકવેરાના દર ઘટાડવા નાણા મંત્રાલયને ભલામણ કરી છે.
દેશમાં સૌથી મોટા ઔદ્યોગિક સંગઠને જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2024 માટે મૂડી ખર્ચ વધારીને જીડીપીના 3 થી 3.4 ટકા કરવો જોઇએ જે હાલ 2.9 ટકા છે અને સરકારે તે બાદના વર્ષમાં 3.8 થી 3.9 ટકા કરવો જોઇએ.
સીઆઈઆઈના પ્રમુખ સંજીવ બજાજે મુલાકાત બાદ જણાવ્યું કે સરકારે વ્યક્તિગત આવકવેરામાં ઘટાડો કરીને સ્લેબ તથા ટકાવારી બંનેમાં લોકોના હાથમાં નાણા રહે તે જોવું જોઇએ. જેના કારણે લોકો વધુ ખર્ચ કરશે અને લોકોની ખર્ચી શકાય તેવી આવક વધતા બજારમાં માંગ પણ વધશે.આમ એક નવું ચક્ર ચાલુ કરવાની જરુર છે જેથી ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રને ખુબ જ વેગ મળશે. સીઆઈઆઈ દ્વારા રેલવે, રોડ તથા બંદરો સહિતના ક્ષેત્રોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા વધારવા પર જોર મુકાયું હતું અને ખાસ કરીને માસ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માંગ કરાઈ હતી.મેટ્રો સિટી અને મોટા શહેરોમાં માર્ગ પર વધુને વધુ માસ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા હોય તો લોકો પોતાના વ્યક્તિગત વાહનોથી પ્રવાસ ઘટાડશે અને તેના કારણે ઇંધણની બચત થશે, પર્યાવરણને ફાયદો થશે અને લોકોને પણ બચત થશે. આ ઉપરાંત રેલવે અને પોર્ટ બંદર ક્ષેત્રે પણ ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે સુવિધા વધારવા જોઇએ, રેલવે લાંબા પ્રવાસનું સાધન છે અને તેને તમામ વર્ગ માટે સુવિધાપૂર્ણ પ્રવાસ માધ્યમ બને તે જોવા જણાવ્યું હતું.
previous post