સવેરા ગુજરાત,રાજકોટ,તા. 21
ગુજરાતની જનતા આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મુકતી આવી છે અને આ ચૂંટણીમાં પણ એ વિશ્ર્વાસ કાયમ રાખી ગુજરાતને પ્રગતિના પંથે લઇ જવાની અપીલ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે સૌરાષ્ટ્રના ચાર મહત્વના વિધાનસભા ક્ષેત્રો વેરાવળ સોમનાથ, ધોરાજી, બોટાદ તથા અમરેલીમાં જાહેરસભાનું સંબોધન કરતાં જણાવ્યું હતું કે ભાજપ સરકારે ગુજરાતનો ચહેરો બદલી નાખ્યો છે. ગુજરાતની ચાલ બદલી નાખી છે.20 વર્ષ તપશ્ચર્યા અને કાળી મજૂરી કરી છે. 365 દિવસ પગ વાળીને બેઠા નથી ત્યારે ગુજરાત આજે વિકાસનું મોડલ બન્યું છે. વેરાવળ સોમનાથમાં ગઇકાલે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વાદશ જ્યોતિર્લીંગ પૈકીના એક ભગવાન સોમનાથની ભક્તિભાવપૂર્વક પૂજા કરી હતી અને બાદમાં સભાને સંબોધતા જણાવ્યું કે ડબલ એન્જીનની સરકાર આ વખતે પણ સ્થાપિત થાય તે જરુરી છે.આજે ગુજરાતને શું હોવું જોઇએ તે મારી કેન્દ્રની સરકારને ખબર હોવાથી ગુજરાત માગે તે પહેલા જ આવી દેવામાં આવે છે. ભુતકાળમાં કોંગ્રેસ સરકારના શાસનમાં ગુજરાત અને ગુજરાતના મહાનુભાવોનું સતત અપમાન થતુ હતું આજે ગુજરાતના મહાનુભાવોને સન્માન મળી રહ્યું છે. મારા નેતૃત્વની ગુજરાત સરકારે માતાઓ અને બહેનોની ચિંતા કરી હતી અને તેમને ચૂલા ફુંકવામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. આ સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી સહિતના અગ્રણીઓ અને ભાજપના ઉમેદવાર હાજર રહ્યા હતા.બાદમાં શ્રી મોદીએ ધોરાજી ખાતે એક રેલીને સંબોધન કરતા જણાવ્યું કે ગુજરાતનો વિકાસ એટલો થયો છે કે કોઇ એક ટોપીક પર વાત કરવી હોય તો સપ્તાહ બેસાડવી પડે. સૌની યોજનાનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે નર્મદા ડેમનો શિલાયન્સ પંડીત નહેરુએ કર્યો પણ ત્યારબાદ કેટલો સમય વેડફાયો. રાહુલ ગાંધી અને મેઘા પાટકરનું નામ લીધા વગર જણાવ્યું કે ભાજપ સરકારમાં નર્મદા ડેમનું કામ આગળ વધ્યું તો ગુજરાતના દુશ્મનો કામ અટકાવ્યું અને એ દુશ્મોના ખભે હાથ મુકીને કોંગ્રેસના નેતાઓ પદયાત્રા કરી રહ્યા છે. કોંગ્રેસ મત માગવા આવે તો પૂછજો તમે ક્યા મોઢે મત માગી રહ્યા છો. અમે સમસ્યાનું કાયમી સમાધાન કરનારા લોકો છીએ.વડાપ્રધાન બાદમાં અમરેલી પહોંચ્યા હતા અને સૌ પ્રથમ અમરેલીની ધરાને સંતોની ધરા અને કર્મયોગીઓની ધરા તરીકે તેમજ સાહિત્ય ધરા ઉપરાંત તલવારની પણ તાકાત ધરાવે છે તેવું જણાવી ઉમેર્યું કે અમરેલી જિલ્લાનું પીપાવાવ બંદર ઉતર ભારતની સાથે જોડવા માટે પીપાવાવ કોરીડોર બનાવવા જઇ રહ્યા છે. ભુતકાળની સરકારો પાણી માટે હેન્ડ પંપ લગાવી દેતી તો પણ તે વિસ્તારના ધારાસભ્યો પાંચ-પાંચ ચૂંટણી આરામથી જીતા હતા આજે અમારા શાસનમાં પીવાનું પાણી નળ દ્વારા પહોંચાડવામાં આવે છે અને હેન્ડ પંપ ભૂતકાળ બની ગયો છે.