નવીદિલ્હી,તા.૨
દેશ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે. ભારતના સ્વાધિનતા આંદોલનના નાયક કહેવાતા ગાંધીજીની સમાધિ રાજઘાટ પર ગણમાન્ય વ્યક્તિઓ પહોંચી રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. શાસ્ત્રીજીની સમાધિ વિજય ઘાટ ઉપર પણ નેતાઓ પહોંચીને તેમને નમન કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. પુષ્પો પણ અર્પણ કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રાજઘાટ પહોંચીને ગાંધીજીને પુષ્પો અર્પણ કરી નમન કર્યા. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ રાજઘાટ પહોંચીને રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપી.
આજે દેશના પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રની પણ જન્મજયંતી છે. રાષ્ટ્રપતિ દૌપદી મુર્મૂએ શાસ્ત્રીજીની સમાધિ વિજય ઘાટ પર જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ પણ પૂર્વ પીએમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી અને નમન કર્યા.
આ ઉપરાંત કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે પણ રાજઘાટ પહોંચ્યા અને શ્રદ્ધાંજલિ આપી. ખડગે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં જે બે ઉમેદવારો રેસમાં છે તેમાંથી એક છે. બીજા ઉમેદવાર શશિ થરુર છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીની જયંતી પર તેમને કર્ણાટકના મૈસૂરમાં શ્રદ્ધાંજલિ આપી. પોરબંદરમાં જન્મસ્થળ પર બાપુને અપાઈ શ્રદ્ધાંજલિ, તો ગાંધી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થના સભા થઈ હતી