સવેરા ગુજરાત, અમદાવાદ તા. 18
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન – અમદાવાદ સંચાલિત શ્રી ઈશ્વરસદ્ વિદ્યાશ્રમ – શ્રી સ્વામિનારાયણ છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન સમારોહ “શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ”ના ઉપક્રમે આજે આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ પ્રસંગે છાત્રાલયમાં અભ્યાસ કરીને ત્યાગ માર્ગ પસંદ કરનાર પૂજનીય સંતો અને દેશ વિદેશમાં વસતા હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સંતો -ભક્તોએ પ.પૂ. આચાર્ય સ્વામીશ્રી મહારાજને રજત શિક્ષાપત્રી અર્પણ કરીને પૂજન કર્યું હતું.
આ અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, આપ સૌએ છાત્રાલયમાં અભ્યાસ કરીને શિક્ષણની સાથે સંસ્કારનું ભાથું પ્રાપ્ત કરીને વ્યસનમુક્ત જીવન જીવી રહ્યા છો, સૌ પોતપોતાના ક્ષેત્રમાં આગવી સિદ્ધિ હાંસલ કરી જીવનનો આનંદમાણી રહ્યા છો તે જાણીને ખૂબ હર્ષ થાય છે. જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી આપનું અને શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનું નામ રોશન કરો એવી શુભેચ્છાઓ.
છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ -સંતોનું ભાવપૂર્વક અભિવાદન કરવામાં આવ્યું. ત્યારબાદ શિક્ષણ ક્ષેત્રે જ્વલંત સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો અને રજત મેડલ આપીને સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ યાદગાર ભેટ અને રજત મેડલ એનાયત કરવામાં આવ્યા.
ઈ. સ. 1947 થી 2022 સુધીમાં છાત્રાલયમાં રહીને અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થી જીવનના સંસ્મરણો તાજાં કર્યાં હતાં. અંતે સૌએ મહાપ્રસાદનો આનંદ માણ્યો હતો.