સવેરા ગુજરાત, અમદાવાદ, તા.૯
દિવાળીના તહેવારોને આડે હવે દોઢ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. હિન્દુઓના સૌથી મોટા તહેવાર ગણાતા દિવાળીમાં આ વખતે પણ ‘ધોકા’ની મહોંકાણ સર્જાઈ છે. ધોકો એટલે કે પડતર દિવસ, જે આ વખતે પણ દિવાળી અને નૂતન વર્ષની વચ્ચે આવશે. એટલે આ વખતે પણ દિવાળી પર્વ મનાવ્યા પછીના દિવસે લોકો એકબીજાને સાલ મુબારક નહીં કહી શકે. જ્યોતિષ શાસ્ત્રીઓના કહેવા અનુસાર, ૨૪ ઓક્ટોબરે દિવાળી છે. દિવાળીના બીજા જ દિવસે એટલે કે ૨૫ ઓક્ટોબરે ખગ્રાસ સૂર્યગ્રહણ અને એકમનો ક્ષય હોવાથી ધોકો રહેશે. એટલે કે બેસતું વર્ષ ૨૬ ઓક્ટોબરના રોજ ઉજવાશે.
દિવાળીના તહેવારો આસો વદ એકાદશી સાથે શરૂ થશે. ૨૧ ઓક્ટોબરે અગિયારસની સાથે વાઘબારસ પણ છે. એટલે કે એક જ દિવસે બે તિથિ આવી જાય છે. ૨૨ ઓક્ટોબરે ધનતેરસે લક્ષ્મી-ધન્વંતરી પૂજન કરવામાં આવશે. ૨૩ ઓક્ટોબરે કાળી ચૌદશ અને ૨૪ ઓક્ટોબરે દિવાળી છે. આ પહેલા ૧૯ ઓક્ટોબરે ખરીદી માટેનું પુષ્ય નક્ષત્ર છે. દિવાળી અને બેસતા વર્ષ બાદ લાભપાંચમની તિથિ ધંધા-વ્યવસાયના મુહૂર્ત માટે મહત્વની હોય છે. દિવાળીના તહેવારોની રજા બાદ પરંપરાગત રીતે ધંધાના શ્રીગણેશ લાભપાંચમથી થાય છે. જાેકે, કેટલાક વેપારીઓ એકમ એટલે કે બેસતા વર્ષે પણ મુહૂર્ત કરતા હોય છે.
જાેકે, ચાલુ વર્ષે ૨૮ ઓક્ટોબરે સવારે ૧૦.૩૫થી ૨૯ ઓક્ટોબરના સવારે ૮.૧૪ કલાક સુધી ચોથ છે એટલે કે લાભપાંચનો ક્ષય છે. પરંતુ જ્યોતિષીઓના કહેવા અનુસાર, ૨૯ તારીખે સૂર્યોદયના દોઢેક કલાક બાદ લાભપાંચમ શરૂ થઈ જશે અને ૩૦ ઓક્ટોબરે પરોઢિયે ૫.૫૧ કલાક સુધી ચાલશે.
૧૦ સપ્ટેમ્બરથી શ્રાદ્ધ શરૂ થઈ રહ્યા છે. જે ૨૫ સપ્ટેમ્બરે પૂર્ણ થશે. ૨૬ સપ્ટેમ્બરથી નવલા નોરતાની શરૂઆત થઈ જશે. આ વર્ષે નવરાત્રી દરમિયાન એકપણ તિથિનો ક્ષય નથી માટે માતાજીની ભક્તિ કરવા આખેઆખી નવ રાત મળશે. ૨૬ સપ્ટેમ્બરથી શરૂ થતી નવરાત્રી ૪ ઓક્ટોબર સુધી ચાલશે. ૫ ઓક્ટોબરે દશેરા ઉજવવામાં આવશે. જ્યારે ૯ ઓક્ટોબરે શરદ પૂર્ણિમા છે.
previous post