સવેરા ગુજરાત, કચ્છ તા. ૨૭
આજે પ્રધાનમંત્રી મોદી કચ્છને ૩ હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપવાના છે. ત્યારે કચ્છમાં નરેન્દ્ર મોદી અનેક વિકાસના કાર્યોના ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રીના આ પ્રવાસ દરમિયાન કચ્છમાં એક રેકોર્ડ પણ સર્જાવાનો છે.
કચ્છમાં પ્રધાનમંત્રી રમતગમત સ્પર્ધા અને મહોત્સવના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. આઝાદી કા અમૃત મહોત્સવની જેમ ૭૫ કરતાં વધુ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આજે એક રેકોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે અને તુલસીના રોપા દ્વારા એક કમળ બનાવવામાં આવ્યું છે. ૨૫૦૦ કરતાં વધારે તુલસીના રોપાથી કમળ બનાવાશે. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં લાર્જેસ્ટ બીજેપી વર્લ્ડ લોગો ઈપ્લાન્ટસ તુલસીના રોપાથી સૌથી મોટામાં મોટો ભારતીય જનતા પાર્ટીનો કમળનો લોગો બનાવવામાં આવ્યો છે. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં તેને સ્થાન મળ્યું છે. કુલ ૨૭૮૨ તુલસીના રોપાથી કમળ બનાવાયું છે. આખી ટીમે ૪.૩૦ કલાકની મહેનત બાદ આ કમળ સર્જ્યું છે. જે ૩૦ ફૂટ પહોળું અને ૨૫ ફૂટ લાંબુ છે. પ્રધાનમંત્રી મોદી કચ્છને એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. કચ્છમાં ૨૦૦૧માં આવેલા ભૂકંપ બાદના વિકાસના પ્રતિક સ્મૃતિ વનને પ્રધાનમંત્રી ખૂલ્લું મૂકશે. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પ્રધાનમંત્રી મોદીને આ વિચાર આવ્યો હતો. આ વાતનો ખુલાસો કચ્છના પ્રભારી સચિવ હર્ષદ પટેલે કર્યો છે કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ વન બનાવવાનું નક્કી કર્યુ હતું. જ્યાં ભૂકંપ સાથેની યાદો અને તેના બચાવ અંગેની જાણકારી છે. આ સ્મૃતિ વન ૩૫૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.
જ્યાં ૨૦૦૧માં ભૂકંપમાં મૃત્યુ પામેલા ૧૨,૦૦૦ થી વધુ લોકોને શ્રદ્ધાંજિલ આપવામાં આવી છે. આ દેશનું પહેલું એવું મ્યુઝિયમ છે જે ભૂકંપ પર બનાવવામાં આવ્યું છે.
પીએમ મોદી ભૂકંપ પીડિતોની યાદમાં બનેલું કચ્છના સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. સાથે કચ્છ જિલ્લાના પાણીદાર બનાવનાર ભૂકંપપ્રુફ કચ્છ-ભુજ બ્રાંચ કેનાલનું પણ લોકાર્પણ કરશે. સાથે જ ગુજરાતનો પ્રથમ કચ્છની સરહદ ડેરીના સોલાર પ્લાન્ટનું પીએમ લોકાર્પણ કરશે. સાથે જ અંજારના વીર બાળક સ્મારકનું લોકાર્પણ કરશે. ૧૭૪૫ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી ૩૫૭ કિલોમીટર લાંબી ભુજ બ્રાંચ કેનાલ હાઈટેક અને ભૂકંપપ્રૂફ છે. આ કેનાલથી કચ્છના ૯૪૮ ગામ અને ૧૦ જેટલા નગરોને પીવાનું પાણી મળી રહેશે. કચ્છના ૧ લાખ ૧૦ હજાર હેક્ટરથી વધારે વિસ્તારને સિંચાઈની સુવિધાનો લાભ મળશે. આ ૩૫૭ કિલોમટીર લાંબી કેનાલની નહેરોની વહન ક્ષમતા ૧૨૦ ઘન મીટર પ્રતિ સેકન્ડની છે. આ કેનાલ રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ, મુન્દ્રા અને માંડવી તાલુકામાંથી પસાર થાય છે. ૩ ફોલ અને ૩ પમ્પિંગ સ્ટેશન સાથેની કેનાલ એન્જિનિયરિંગનો અદભૂત નમૂનો છે.જેમાં વોટર કેનાલ બેડ પાવર હાઉસથી ૨૩ મેગાવોટથી વધુ વીજળી ઉતપન્ન થશે. ઘુડખરો કેનાલ પાર કરી શકે તે માટે ખાસ રસ્તાનું નિર્માણ કરી તેમની સુરક્ષા માટે કેનાલની બંને તરફ ખાસ ફેન્સિંગ પણ કરવામાં આવ્યું છે. તો અંજારમાં બનેલા વીર બાળક સ્મારકનું પણ પ્રધાનમંત્રી મોદી લોકાર્પણ કરશે. દિવંગત બાળકોને સમર્પિત આ મ્યૂઝિયમનું પાંચ વિભાગમાં નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રથમ વિભાગમાં દિવંગતોની તસવીરો અને ભૂતકાળના સ્મરણો રજૂ કરવામાં આવ્યા છે. ત્યારબાદ વિનાશ વિભાગમાં કાટમાળ દર્શાવીને મૃત્યુ પામેલા બાળકોના સ્મૃતિચિહ્નો અને તેમની પ્રતિકૃતિ રજૂ કરાઇ છે. સાથે જ ભૂકંપનો અનુભવ થઇ શકે તે માટે એક વિશેષ રૂમ બનાવવામાં આવ્યો છે. તો મ્યૂઝિયમની બહાર મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. ભોગ બનેલા માસૂમ બાળકો અને શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવા એક શક્તિશાળી પ્રકાશપુંજ બનાવવામાં આવ્યો છે. જેમાંથી નિકળતો પ્રકાશ સમગ્ર અંજાર શહેરમાં દેખાશે.