સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૨૬
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે કહ્યું તે હંમેશાં કરી બતાવ્યું છે. ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતે આયોજિત બ્રહ્મભટ્ટ-બારોટ સમાજના સ્નેહમિલનમાં સંબોધન કરી રહ્યા હતા. સમાજના શ્રેષ્ઠીઓએ મુખ્યમંત્રીનું ભાવસભર અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે વધુમાં કહ્યું કે, સમજદાર અને જવાબદાર શાસક ક્યારેય પ્રજાને ભરમાવતો નથી, જનતાનો સાચો પ્રતિનિધિ ક્યારેય જનતાને ઠાલા વચનો આપતો નથી. ગુજરાતની બે દાયકાની વિકાસયાત્રામાં ભાજપા સરકારે આપેલા વાયદા સો ટકા પૂરા કરી બતાવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, જે વિકાસકામોનું ખાતમુહૂર્ત અમે કરીએ તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ તેવી કાર્યસંસ્કૃતિ ભાજપાની સરકારે વિકસાવી છે. ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જેવા ક્ષેત્રે થયેલા વિકાસે આ વાતની પ્રતિતિ કરાવી છે. તેમણે કહ્યું કે રાજ્ય અને દેશના વિકાસ માટે બ્રહ્મભટ્ટ-બારોટ સમાજ સહિત સૌ સમાજ એકજૂટ બની એક ભારત-શ્રેષ્ઠ ભારત સાકાર કરવામાં અગત્યની ભૂમિકા ભજવી શકે. સૌ સમાજને સાથે રાખી ચાલવાની સરકારની કાર્યરીતિથી અંત્યોદયથી સર્વોદય સાકાર થયું છે તેવો મત તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં ૨૫ વર્ષના યુવાને કરફ્યુ કે કોમી ફસાદના વરવાં દ્રશ્યો જાેયાં જ નથી. અઢી દાયકા પહેલાંના ગુજરાતને સંપૂર્ણપણે સરકારે શાંત, સલામત, સુરક્ષિત અને વિકસિત ગુજરાત બનાવ્યું છે. વડોદરાના પૂર્વ મેયર શબ્દશરણ બ્રહ્મભટે બારોટ સમાજની પ્રગતિ-વિકાસ અને તેમાં રાજ્ય સરકારના સહયોગની વિગતો સૌને આપી હતી. બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ ભગવાનદાસ પંચાલે બ્રહ્મભટ્ટ-બારોટ સમાજ હંમેશાંથી ગુજરાતની ભાજપા સરકારની પડખે હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, બી.ડી. રાવ ટ્રસ્ટના પ્રમુખ કમલેશભાઈ સહિત સમાજના અન્ય અગ્રણી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.