રાજકોટ: ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી ધારાસભા ચૂંટણીમાં પડકાર સર્જવાના ઈરાદા સાથે આગળ વધી રહેલા આમ આદમી પક્ષ દ્વારા હવે નવા સંગઠન માળખાની તૈયારી કરવામાં આવી છે. પક્ષના સંયોજક તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પક્ષના ગુજરાતના સંગઠન માળખા અને તમામ મોરચાને વિખેરી નાંખવામાં આવ્યા છે અને ટુંક સમયમાં જ નવા માળખા તથા મોરચાના નવા પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવશે. જો કે પ્રદેશ પ્રમુખ તરીકે હાલ ગોપાલભાઈ ઈટાલીયા ફરજ બજાવે છે. તેઓ યથાવત રહેશે.
આપ ના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ ટુંક સમયમાં ગ્રામીણથી લઈને પ્રદેશ સુધીના નવા માળખાની જાહેરાત કરવામાં આવશે. અગાઉ ગોવા સહિતના રાજયોમાં પણ ચૂંટણીમાં જતા પુર્વે આમ આદમી પાર્ટીના સંગઠન માળખાને વિખેરી નંખાયા હતા. જો કે હિમાચલમાં પક્ષે સંગઠન માળખું વિખેરી નખાયા બાદ પક્ષના પ્રભારી અને દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની એન્ફોર્સમેન્ટ દ્વારા ધરપકડ થતા હાલ આ રાજયમાં નવા માળખાની રચનાને બ્રેક લાગી છે. હાલમાં જ અરવિંદ કેજરીવાલે મહેસાણાની મુલાકાત લીધી હતી અને ત્રિરંગાયાત્રાનું સમાપન કર્યુ હતું અને હવે પક્ષ નવા સંગઠન માળખા સાથે ચૂંટણીમાં જશે તે નિશ્ચીત છે.