મુંબઇ,તા.4
દેશમાં શાકભાજીથી માંડીને અનાજ કઠોળ સુધીની તમામ ચીજોમાં બેફામ મોંઘવારીને રોકવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં અનેક પગલા લીધા બાદ થોડી રાહત થવા લાગી હોવા છતાં મોટાભાગની ચીજોમાં ભાવ વધુ ઉંચા જ છે. તેને પગલે ગામડાથી માંડીને શહેરોના લોકોની ડીમાંડમાં મોટો ઘટાડો થયો છે. દેશની એફએમસીજી ચીજોની ડીમાંડમાં મે મહિના દરમિયાન સરેરાશ 16 ટકાનો મોટો ઘટાડો હોવાનું બહાર આવ્યું છે.
રિચર્ચ ફર્મ બિઝોમના રિપોર્ટ પ્રમાણે મે મહિના દરમિયાન શહેરી વિસ્તારોમાં એફએમસીજી ચીજોનું વેચાણ એપ્રિલ મહિનાની સરખામણીએ 16 ટકા ઘટ્યું હતું જ્યારે ગ્રામ્ય ભાગોમાં 16.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કરિયાણાની ચીજવસ્તુઓના વેચાણમાં પણ 2.5 ટકાનો ઘટાડો થયો છે.
જો કે મુલ્યની દ્રષ્ટિએ ગત વર્ષની સરખામણીએ એફએમસીજી ચીજોમાં 32.9 ટકા અને કરિયાણાની ચીજોમાં 41.7 ટકાનો વધારો નોંધાયો છે. આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ગત વર્ષની સરખાણમીએ મે મહિનાનો ભાવવધારાનો દર ઘણો વધુ છે.
રિપોર્ટમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે, ડીમાંડમાં સૌથી મોટો ઘટાડો ખાદ્યતેલ અને ઘઉંના આટામાં નોંધાયો હતો. એપ્રિલની સરખામણીએ તેમાં 31.6 ટકાની માંગ ઘટી હતી. આ ઉપરાંત ગ્રાહકો હવે મોટા પેકેટને બદલે નાના પેકેટ ખરીદવાનો આગ્રહ રાખવા લાગ્યા છે.
ઘરવપરાશની ચીજોની ડીમાંડમાં પણ 10.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ઠંડાપીણાની ડીમાંડમાં 1.1 ટકાનો ઘટાડો હતો. આકરા ઉનાળાને કારણે ઠંડા પીણાને ડીમાંડને બહુ મોટી અસર થઇ ન હોવાનુંં માનવામાં આવી રહ્યું છે.
previous post