સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૩૧
ગુજરાતના રાજકારણમાં લાંબા સમયથી અનિશ્ચિતા સર્જી રહેલા ગુજરાત કોંગ્રેસના પુર્વ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ હવે તા.૨ જૂનના રોજ કેસરીયો ખેસ પહેરી લેશે. લાંબા સમયથી કોંગ્રેસમાં અસંતુષ્ઠ બની રહેલા પાસના પુર્વ કન્વીનર તથા પાટીદાર નેતા હાર્દિક પટેલે ગત તા.૧૮ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતું અને તે સમયથી જ તેમના ભાજપમાં પ્રવેશ અંગેના સંકેતો મળ્યા હતા અને હવે તા.૨ના રોજ કમલમમાં તેઓ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ભાજપમાં જાેડાઈ જશે. જાે કે આ સમયે ભાજપના કોઈ કેન્દ્રીય નેતા કે પદાધિકારી હાજર હશે કે કેમ તે અંગે સસ્પેન્સ છે તથા હાર્દિક પટેલની સાથે તેમના કેટલા ટેકેદારો જાેડાશે તે અંગે પણ હજુ કોઈ સંકેત મળ્યા નથી. એક સમયે પાટીદાર અનામત આંદોલનના કારણે સેલીબ્રીટી પોલીટીશ્યનનું સ્ટેટસ મેળવનાર હાર્દિક પટેલ ૨૦૧૭ની ચૂંટણી બાદ કોંગ્રેસમાં જાેડાયા હતા અને તેમને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપાઈ હતી પરંતુ લાંબા સમયથી કોંગ્રેસમાં પોતાને હોદો સોપાયા છતા કોઈ કામ સોપાયુ નથી તેવું જણાવીને અસંતોષ વ્યક્ત કરી રહેલા હાર્દિક પટેલે પક્ષ છોડવાનો સંકેત આપી દીધો હતો અને હવે તેઓ ગુરુવારે કેસરીયો ધારણ કરશે.
ગુરૂવારે કોંગ્રેસના પુર્વ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના ભાજપના પ્રવેશ મુદે પક્ષમાં પણ હજુ સંમતી બની નથી પરંતુ લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત લાવવા ભાજપ મોવડીમંડળે હાર્દિકના પ્રવેશને લીલીઝંડી આપી હોવાનો સંકેત છે અને ખાસ કરીને હાર્દિકને હવે ભાજપમાં જાેડાતા સમયે શક્તિ પ્રદર્શનની મંજુરી અપાશે કે કેમ તે પ્રશ્ન છે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ હાર્દિકના ભાજપ પ્રવેશ અંગે પક્ષના જ કેટલાક પાટીદાર નેતાઓએ અસંતોષ વ્યક્ત કર્યો છે અને ખાસ કરીને ભાજપનું આનંદીબેન પટેલ જૂથ હાર્દિકને બહુ ‘ભાવ’ ન આપવા માટે પણ દબાણ કરી ચૂકયા છે. તે સમયે હવે હાર્દિક પટેલને ભાજપમાં કોઈ ખાસ હોદ્દો અપાશે કે કેમ તે પણ પ્રશ્ન છે. બીજી તરફ વિધાનસભા ચૂંટણી માટે હાર્દિક પટેલને ટિકીટ અપાશે કે કેમ તે અંગે પણ હાર્દિકે કોઈ કમીટમેન્ટ લીધુ હોય તેવા સંકેત નથી અને ભાજપે પણ હજુ સુધી હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ અંગે કોઈ સતાવાર જાહેરાત કરી નથી. જાે કે આ અંગે આવતીકાલ સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જાય તેવા સંકેત છે.