સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૭
કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટકોટ ખાતે નિર્માણ પામેલી ૨૦૦ બેડની અદ્યતન કે.ડી.પારવાડિયા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા માટે આવી રહ્યા છે જેને લઈને તંત્ર છેલ્લી ઘડી સુધીની તૈયારીમાં વ્યસ્ત બની ગયું છે. દરમિયાન જાણવા મળ્યા પ્રમાણે કાલે સવારે મોદી દિલ્હીથી ફ્લાઈટમાં રાજકોટ એરપોર્ટ ઉપર પહોંચ્યા બાદ અહીંથી રશિયન હેલિકોપ્ટર મારફતે આટકોટ પહોંચશે. આ પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુક સી.આર.પાટીલ રાજકોટ એરપોર્ટ ઉપર વડાપ્રધાનનું સ્વાગત કરશે. ત્યારબાદ તમામ નેતાઓ ચાર હેલિકોપ્ટર મારફતે આટકોટ જવા રવાના થશે. આ માટે હેલિકોપ્ટરોએ પોતાની રન પણ પૂર્ણ કરી લીધી છે. કાલે સવારે ૯ઃ૩૦ વાગ્યે મોદી દિલ્હીથી રાજકોટ એરપોર્ટ ઉપર લેન્ડ કરશે. આ માટે આજથી જ એરપોર્ટ ઉપર વધારાનો પોલીસ બંદોબસ્ત ઉપરાંત એસપીજી કમાન્ડોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત આસપાસના બિલ્ડિંગ ઉપર સ્નાઈપરને પણ ગોઠવી દેવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સવારે ૯ઃ૩૦ વાગ્યે દિલ્હીથી રાજકોટ એરપોર્ટ પહોંચી જશેઃ આજથી જ વધારાનો પોલીસ કાફલા ઉપરાંત એસપીજી કમાન્ડો એરપોર્ટ પર તૈનાત, આસપાસના બિલ્ડિંગ ઉપર સ્નાઈપર ગોઠવી દેવાયા એકંદરે વડાપ્રધાનની સુરક્ષા માટે લોખંડી બંદોબસ્ત આજથી જ તૈનાત કરી દેવાયો છે. મોદી એરપોર્ટ પરથી જ રશિયન હેલિકોપ્ટરમાં બેસીને આટકોટ પહોંચશે. તેઓ એરપોર્ટની બહાર નીકળવાના નહીં હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડ ઉપરાંત ફાયરબ્રિગેડ કાફલો સહિતનાને સ્ટેન્ડ ટુ રાખી દેવામાં આવ્યા છે. કાલે રાજકોટ પહોંચ્યા બાદ વડાપ્રધાનને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના આવકારશે.
આ પછી ચાર જેટલા હેલિકોપ્ટર મારફતે મુખ્યમંત્રી, પાટીલ સહિતના દિગ્ગજાે મોદી સાથે જ આટકોટ જવા રવાના થશે. આટકોટ પહોંચ્યા બાદ મોદી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યા બાદ નિરીક્ષણ કરશે. ત્યારબાદ જનમેદનીને સંબોધન કરશે. ત્યાંથી હેલિકોપ્ટર મારફતે જ ગાંધીનગર જવા માટે રવાના થશે અને ગાંધીનગરમાં સાંજે સહકાર સંમેલનમાં હાજરી આપ્યા બાદ ત્યાંથી જ દિલ્હી જવા માટે રવાના થઈ જશે. સહકાર સંમેલનમાં વડાપ્રધાનની સાથે જ કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ પણ ઉપસ્થિત રહેશે.