સવેરા ગુજરાત, મોરબી તા. ૧૮
મોરબીના હળવદમાં મોટી દુર્ઘટના ઘટી છે. સાગર સોલ્ટ નામના કારખાનામાં દીવાલ તૂટી પડતા ૩૦થી વધુ લોકો દટાઈ ગયા. આ દુર્ઘટનામાં ૧૨ લોકોના દર્દનાક મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ૧૨ જેટલા મૃતદેહો હળવદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને સંબંધિત વિભાગની ટીમો હળવદ જીઆઈડીસીમાં પહોંચી ગઈ છે. આ દુર્ઘટના પર પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. તથા ઘાયલોના જલદી સાજા થવાની કામના કરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ હળવદ ખાતે ઘટનાસ્થળની મુલાકાત લેશે.
દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દરેક શ્રમિકના વારસદારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ૪ લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે પીએમઓ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ મૃતકના વારસદારને ૨ લાખ રૂપિયા અને પ્રત્યેક ઈજાગ્રસ્તને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી જિલ્લાના હળવદની જી.આઇ.ડી.સી માં દિવાલ ધસી પડવાની દુર્ઘટનાને કારણે જાન ગુમાવનારા શ્રમિકો પ્રત્યે હ્વદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીશ્રીએ મૃતક શ્રમિકોના આત્માની શાંતિ માટે પ્રભૂ પ્રાર્થના પણ કરી છે. મુખ્યમંત્રીશ્રીને આ ઘટનાની જાણકારી મળતાં જ તેમણે મોરબી જિલ્લા કલેકટર અને તંત્રવાહકોને તાત્કાલિક બચાવ-રાહત કામગીરી માટે સૂચનાઓ આપી હતી.
મળતી માહિતી મુજબ હળવદની જીઆઈડીસીમાં સાગર સોલ્ટ નામનું કારખાનું આવેલું છે. આજે અચાનક ધડાકાભેર કારખાનાની એક દીવાલ તૂટી પડી. દીવાલના કાટમાળ નીચે ૩૦થી વધુ લોકો દટાઈ ગયા. તેમને બચાવવા માટે સ્થાનિકોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. અત્યાર સુધીમાં ૧૨ શ્રમિકોના મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢ્યા હોવાની માહિતી મળી છે. અનેક લોકો હજુ પણ દટાયેલા હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા પણ નકારી શકાય નહીં. હાલ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટેની બચાવ કામગીરી ચાલુ છે. આ ઘટના બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ઘટી હોવાનું કહેવાય છે. અચાનક કયા કારણસર આ મીઠાના કારખાનાની આ દીવાલ તૂટી પડી તે જાણવામાં મળ્યું નથી. ઘટનાની જાણ થયા બાદ સ્થાનિક ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોનું એવું પણ કહેવું છે કે દીવાલ તૂટી પડ્યા બાદ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવામાં વાર લાગી જેને કારણે મૃત્યુઆંક વધ્યો