અગરતલા:
આજે શનિવારે ત્રિપુરાના રાજકારણમાં ભૂકંપ સર્જાયા જેવી સ્થિતિ જોવા મળી, ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવે પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો હતો. તેમના સ્થાને ભાજપ હાઈકમાન્ડએ ડો.માનિક સહાને નવા મુખ્યમંત્રી તરીકેની ખુરશી સોંપી છે. ડો.માનિક સહા રાજ્યસભાના સાંસદ અને ત્રિપુરા ભાજપ પ્રદેશ પ્રમુખ છે, ચૂંટણીના નવ મહિના પહેલા જ ત્રિપુરામાં મુખ્યમંત્રી ચહેરો બદલાવી ભાજપે નવો દાવ ખેલ્યો છે.
ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે રાજીનામાનો પત્ર રાજ્યપાલ સત્યદેવવ નારાયણ આર્યને આપ્યો હતો. વિપ્લવ દેવ ગઇકાલે દિલ્હી ગયા હતા, અને આજે સવારે જ ત્રિપુરા પરત આવ્યા હતા. મળતા અહેવાલો મુજબ ભારતીય જનતા પક્ષના ધારાસભ્યોની બેઠકમાં નવા નેતા ચૂંટવામાં આવ્યા છે. ત્રિપુરના ભાજપ પ્રદેશ પ્રમુખ ડો.માનિક સહાને ધારાસભ્ય દળના નેતા તરીકે એટલે કે મુખ્યમંત્રી તરીકેની ચૂંટવામાં આવ્યા છે.
ત્રિપુરાના 2018 માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં ડાબેરી મોરચા સરકારના 25 વરસના શાસનનો અંત આવ્યા પછી વિપ્લવ દેવ ભારતીય જનતા પક્ષના પહેલા મુખ્યમંત્રી બન્યા હતા.