સવેરા ગુજરાત/નવી દિલ્હી તા.26
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર 26 મે ના રોજ આઠ વર્ષનું શાસન પુરુ કરી રહી છે અને તેની ઉજવણી દેશભરમાં કરવા પણ જબરી તૈયારી છે. સરકારની ઉપલબ્ધીઓ અંગે દેશભરમાં પ્રદર્શનો યોજવા માટે ભાજપએ સરકારી તંત્ર ને જણાવ્યું છે અને દરેક જીલ્લા મથકે આઠ વર્ષની કામગીરી અંગે એક મહત્વપૂર્ણ આયોજનો થશે.
ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર અને ભાજપ બંને અલગ અલગ સમાંતર કાર્યક્રમ યોજશે. સૂત્રોના જણાવ્યા મુજબ પક્ષ દ્વારા તા.5 મેના રોજ આ કાર્યક્રમોને અંતિમ રૂપ આપી દેવામાં આવશે અને ત્યારબાદ રાજયના એકમોને તે અંગે તૈયારી કરવા જણાવાશે. એટલું જ નહી કેન્દ્રની સરકારના મંત્રીઓ દેશના પસંદગીના 180 જીલ્લાઓમાં પણ પ્રવેશ કરશે.
આ એવા જીલ્લાઓ છે કે જયાં ભારતીય જનતા પક્ષ પુરી રીતે મજબૂત નથી અને તે રીતે પક્ષનો પ્રચાર પણ કરી દેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ તા.26 મે ના રોજ દિલ્હીમાં એક ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને તેમાં ભાજપના તમામ ટોચના નેતાઓ હાજરી આપશે અને આગામી દિવસોમાં આ કાર્યક્રમની જાહેરાતો કરવામાં આવશે.