સવેરા ગુજરાત/વડોદરા: વડોદરા નજીક આવેલું સોખડા ગામ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિધામ મંદિરને લઈ વિખ્યાત છે. પરંતુ અહીં હવે ગાદી મેળવવા બે જૂથ વચ્ચે વર્ચસ્વની લડાઈ થઈ રહી છે. અગાઉ વિવાદ થયેલો, મારામારીની ફરિયાદ પણ નોંધાયેલી ત્યારે હવે ફરી ઘર્ષણ થયું છે. આરોપ અને ચર્ચાઓ મુજબ તા.14મીની રાત્રીએ પ્રેમ સ્વામી જૂથના સંત સરલ સ્વામીએ પ્રબોધ સ્વામીની ફેંટ પકડી અપશબ્દો કહેતા ખળભળાટ મચ્યો છે. આ મામલે કલેકટરને આવેદન અપાયું હતું. સમગ્ર પ્રકરણને લઈ હરિભક્તોમાં રોષ ભભૂકી રહ્યો હોવાનું જાણવા મળે છે.સમગ્ર મામલો વધુ પ્રકાશમાં ત્યારે આવ્યો જ્યારે હરિભક્તો દ્વારા આ સંદર્ભમાં કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. આ વખતે મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. હરિભક્તોના જણાવ્યા મુજબ, 14 માર્ચની મધરાતે સાડા બાર વાગ્યે પ્રેમ સ્વરુપ સ્વામી જૂથના મનાતા 55 વર્ષીય સંત સરલ સ્વામીએ પ્રબોધ સ્વામીને હરિધામમાં આવેલી આત્મીય કુટિરથી થોડા આગળ બોલાવ્યા હતા, જે બાદ બોલાચાલી થઈ અને ફેંટ પકડીને તેમને મારવાનો પ્રયત્ન કર્યો હતો તથા તેમને અપશબ્દો પણ કહ્યા હતા. આવી રીતે પહેલા પણ સરલ સ્વામી સત્સંગના યુવકો સાથે મંદિરના ગેટ પર દુવ્ર્યવહાર કરી ચુકયા છે. જેની પણ ભારે ટીકા થઈ હતી. હરિભક્તોએ કહ્યુ હતુ કે, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ કેમેરામાં ના આવે તે માટે પણ પ્રેમ સ્વરુપ સ્વામી જૂથના કેટલાક સંતો પ્રયત્નો કરી રહ્યા છે.
હરિભક્તોએ આક્ષેપ કર્યો છે કે, પ્રેમ સ્વરુપ સ્વામીનો સ્વીકાર અનુગામી તરીકે કરવા માટે તેમના જૂથ દ્વારા સંતો-સેવકો પર સંકુલમાં દબાણ કરાઈ રહ્યુ છે. જેઓ પ્રેમ સ્વરુપ સ્વામીને સ્વીકારવા નથી માંગતા તેમને મંદિર પરિસરમાંથી બહાર નથી જવા દેવાતા. તેમની ગાડી બહાર નિકળે તો ચેકિંગ કરવામાં આવે છે. પાસપોર્ટ જપ્ત કરી લેવાય છે, અને મોબાઈલ પણ બંધ કરી દેવાયા છે. હરિભક્તોના હળવા મળવા પર દેખરખ રાખવામાં આવી રહી છે. વિવિધ શહેરોની સત્સંગ સમિતિઓ સ્મ સ્વરુપ સ્વામી જૂથના જ ભક્તોને રાખવામાં આવે છે. હરિભક્તોએ દાનમાં સેવા આપીને ઉભી કરેલી મિલકતોમાં સત્તાના જોરે દાતાઓના અભિપ્રાય લીધા વગર પોતાની તરફેણમાં હોય તેવા લોકોની નિમણૂંક કરાઈ રહી છે.