લાહોર :
ગુરુવારે પાકિસ્તાનથી બ્લાસ્ટના સમાચાર આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ગુરુવારે બપોરે લાહોરના લોહારી ગેટ પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે.
મૃતકોમાં એક બાળક પણ સામેલ છે. વિસ્ફોટમાં ઓછામાં ઓછા 22 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ સંખ્યા હજુ વધી શકે છે. બ્લાસ્ટને કારણે આસપાસની દુકાનો અને મકાનોના કાચ તૂટી ગયા હતા અને વાહનોને પણ નુકસાન થયું હતું.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે વિસ્ફોટના કારણે જમીનમાં 1.5 ફૂટ ઊંડો ખાડો પડ્યો હતો. ઘાયલોને નજીકની મેયો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરરોજ સેંકડો લોકો આ વિસ્તારોની મુલાકાત લે છે. વેપારીઓની અનેક પ્રકારની બજારો અને ઓફિસો પણ છે. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે.