રાજકોટના પોલીસ કમિશ્નર સમાજની સેવા નહી પરંતુ કરોડોની ઉઘરાણીના હવાલા કૌભાંડો આચરતાં હોવાના આક્ષેપથી પોલીસ બેડામાં ખળભળાટ સવેરા ગુજરાત, રાજકોટ તા. ૦૫ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલના પત્રને પગલે પોલીસબેડામાં ચકચાર જગાવી છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો હતો. જેમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું છે કે, રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલાં નાણાં ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે. તેણે એક કિસ્સામાં ૧૫ કરોડની છેતપિંડીનો ભોગ બનેલા ફરિયાદીની FRI ન ફાડી એની ઉઘરાણીનો હવાલો રાખ્યો હતો. જે નાણાંની ઉઘરાણી આવે એમાંથી ૧૫ ટકા હિસ્સો માગી આ રકમ PI મારફત ૭૫ લાખ જેવી ઉઘરાવી હતી. હવે વધુ ૩૦ લાખની ઉઘરાણી માટે PI ફોન કરી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પણ નિવેદન આપી ગોવિંદ પટેલની વાતને સમર્થન આપ્યું છે. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અગાઉ મેં પણ પોલીસ વિરુદ્ધ ફરિયાદો કરેલી જ છે અને ગોવિંદભાઈ આ કેસને લઈને જ્યારે ગાંધીનગર રજૂઆત કરવા ગયા હતા ત્યારે હું એની સાથે હતો. ગોવિંદભાઇને આખી વાતને હું સમર્થન આપું છું. કમિશનરનું કામ ઉઘરાણી કરવાનું છે. જમીનોના સેટલમેન્ટ કરવાનું છે. પોલીસની હપ્તાખોરીનું કામ ચાલુ જ છે. જે ખરેખર ન થવું જાેઈએ.