Savera Gujarat
Other

એસએસજીમાં સાડા ચાર માસ વેન્ટીલેટર પર રાખી તબીબોએ ગોધરાના કિશોરને નવજીવન બક્ષ્યું

શરીરમાં આંચકી આવવાના કારણે ચેતના ગુમાવી દેનારા ગોધરાના એક કિશોરને સાડા ચાર માસ સુધી વેન્ટીલેટર ઉપર રાખીને સર સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગે નવજીવન બક્ષ્યું છે. આ કિશોર કોમા જેવી સ્થિતિમાં હોવા છતાં હોસ્પિટલના તબીબો તથા પરિવારજનોની મહેનતના પરિણામે મેડિકલ મિરેકલ સર્જાયો છે.

પરિવારજનમાં આવતી માંદગી માનસિક રીતે થકાવી દેનારી હોય છે પણ, આ કિસ્સામાં કિશોરના પરિવારજનો કે તબીબો-નર્સીસે થાક્યા વિના બાળકને ફરી બેઠો કર્યો છે. સારી બાબત તો એ છે કે, આટલા દિવસોની સારવાર પાછળ અન્ય દવાખાનામાં રૂ.અડધા કરોડનો ખર્ચ થઇ જાય, પણ અહીં આ સરકારી દવાખાનામાં સાવ વિનામૂલ્યે સારવાર થઇ.

મૂળ વાત એમ છે કે, ગોધરા ખાતે વેજલપુર રોડ ખાતે રહેતા અને લાકડાના વેપાર સાથે સંકળાયેલા મધ્યમ વર્ગીય વસીમભાઇ સુલેમાનભાઇ અબ્દુલસતાર પટેલનો ૧૧ વર્ષનો પુત્ર આસીમ ધોરણ ૬માં અભ્યાસ કરે છે. ગત્ત ઓગસ્ટ માસમાં એક દિવસ એવું બન્યું કે, તેમને તાવ આવવાની સાથે શરીરમાં અસહ્ય ખેંચ આવવા લાગી. કૂમળા શરીર ઉપર કોઇ અજાણી માંદગીએ આક્રમણ કર્યું.

સામાન્ય રીતે મગજના તાવ તરીકે ઓળખીએ છીએ એ પ્રકારની બિમારીથી આસીમના શરીરના સ્નાયુ અને ચેતનાતંત્ર કામ કરતા બંધ થઇ ગયા. આસીમને તત્કાલ વડોદરાની એક નામી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ત્યાં તેને દસેક દિવસ સુધી વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યો. આ દસ દિવસની સારવારમાં રૂ. બારેક લાખનો ખર્ચ આવ્યો. આથી, આર્થિક રીતે નંખાઇ ગયા અને એટલે આસીમને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

આસીમને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તુરંત બાળરોગ વિભાગના હેડ ડો. શિલા અય્યરે વેન્ટીલેટર ઉપર રાખવાની સાથે બિમારીનું કારણ અને મારણ શોધવા માટે પ્રયત્નો શરૂ કર્યા. સેરીબ્રોસ્પાઇનલ ફ્લ્યુઇડ એક્ઝામિનેશન, વાયરઇ ટ્રીટ્રેસ, બ્લડ, એમઆરઆઇ, ઇઇજી સહિતના પ્રકારો-તબીબી ઉપકરણોથી આસીમની તપાસ કરવામાં આવી પણ, આવી બિમારી થવાનું કારણ જાણી શકાયું નહીં અને તેમને પોસ્ટ વાયરલ એન્કેફિલોમાઇટીસ હોવાનું તારણ નીકળ્યું. આમ, ડાયગ્નોસ્ટિક ડાયલેમાનો અંત આવ્યો.

પોસ્ટ વાયરલ એન્કેફિલોમાઇટીસમાં એવું થાય છે કે, શરીરમાં કોઇ વાયરસ દાખલ થાય ત્યારે રોગપ્રતિકાર શક્તિ એમની સામે લડે છે. આ લડત લાંબી ચાલે એટલે ઇમ્યુન સિસ્ટમના સેલ મગજના તુંદરસ્ત કોષો સાથે પણ ભૂલભૂલમાં લડી લે છે. તેના કારણે શરીર ઉપર નિયંત્રણ રાખવાની મજ્જાતંત્રની જરૂરી કામગીરી ખોરવાઇ જાય છે. એથી શરીરમાં ખેંચ આવવા લાગે છે. શરીર ચેતના જ ગુમાવી દે છે.

આસીમને એસએસજીમાં લાવવામાં આવ્યો ત્યારે તેમની પણ સ્થિતિ આવી જ હતી. બીજા શબ્દોમાં કહીએ તો કોમાના પેશન્ટ જેવી માંદગી હતી. વેન્ટીલેટર પર રાખવાની સાથે એન્ટીબાયોટિક દવાઓ આપવામાં આવી. તેના મધ્યપટ (ડાયફ્રેમ) અને શ્વસનતંત્રના સ્નાયુઓ બહુ જ નબળા પડી ગયા હતા અને તેના કારણે તે પોતે શ્વાસ પણ લઇ શકતો નહોતો. એટલે વેન્ટીલેટર સિવાય બીજો કોઇ વિકલ્પ જ નહોતો. લાંબા સમય સુધી વેન્ટીલેટર ઉપર રાખવાના કારણથી ન્યુમોનિયા, ફંગલ ઇન્ફેક્શન, યુરિનલ ઇન્ફેક્શન જેવા કોમ્પ્લીકેશન પણ ઉભા થયા. સાથે, તેની પણ સારવાર કરવામાં આવી.

આ તો કુદરતની કરામત જ કહેવાય કે, ચેતનાતંત્ર કામ ન કરતું હોવા છતાં, આટલા દર્દો સામે આરીફે લડત આપી. દરમિયાન, તેમને નળી વડે જ જમાવડવામાં આવતું હતું. સતત મશીનના સહારે જીવન ચાલતું હોવાથી ઉદર પટલની સમસ્યા ઉભી થઇ રહી હતી. પણ, ના તો એસએસજી હોસ્પિટલના તબીબો, નર્સીસ કે ના તો આસીમના પિતા-દાદીએ હિંમત હારી. એમના માતાને સારા દિવસો જતાં હોવાથી કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી તે આસીમ પાસે રહી શકે એમ નહોતા.

બાળરોગ વિભાગના હેડ ડો. શિલા અય્યર કહે છે, થોડા દિવસો પહેલા અમારામાં આશાની કિરણ જાગ્યું. આરીફે તેમનું મજ્જાતંત્ર તથા ચેતનાતંત્ર કામ કરતું હોવાના ચિહ્નરૂપે શરીરમાં હલનચલન શરૂ કર્યું. તેની સાથે તેમને દિવસ દરમિયાન વેન્ટીલેટર ઉપરથી થોડો થોડો સમય ખસેડી રૂમના વાતાવરણમાં રાખવાનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો. એમા અમને સફળતા મળી. આજે તે પોતાની રીતે જ શ્વાસ લેવા માટે સક્ષમ થઇ જતા વેન્ટીલેટરમાંથી સંપૂર્ણ બહાર આવી ગયો છે અને તેને વોર્ડમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે.

તેઓ કહે છે, મારી ૩૩ વર્ષની કારકીર્દિમાં આવો કેસ ક્યારેય હેન્ડલ કર્યો નથી. મજ્જાતંત્રની બહુવિધ બિમારી અને લાંબા સમય સુધી આવી સ્થિતિમાંથી દર્દી રિકવર થાય એવો કિસ્સો અમારામાંથી પણ કોઇએ જોયો નથી. આ કિશોરને ઇન્ડોર પેશન્ટ તરીકે છએક માસ થયા છે. તેમાંથી તે સાડા ચાર માસ તો વેન્ટીલેટર ઉપર રહ્યો છે. સારી વાત તો છે કે, તેમણે યાદશક્તિ બિલ્કુલ ગુમાવી નથી. તે તેમના પરિવારજનોને સારી રીતે ઓળખી લે છે. પ્રશ્નનો સંકેતથી પ્રત્યુત્તર આપે છે. અમારા માટે આ મિરેકલ જ છે. હાલમાં દવાની સાથે કસરત કરાવવામાં આવે છે.

આસીમને હસતોરમતો ઘરે લઇ જવાની ઇચ્છા વસીમભાઇના ચહેરા ઉપર તેમની સાથે વાત કરતી વેળાએ છલકે છે, છેલ્લા છ માસથી એસએસજી હોસ્પિટલમાં તે તેમની માતા સાથે હાજરાબેન સાથે આસીમની થાક્યા વિના સુશ્રૂષા કરે છે. તે કહે છે, એસએસજી હોસ્પિટલના તબીબોએ જેવી સેવા કરી છે, એ ખાનગી હોસ્પિટલના તબીબો પણ ના કરી શકે. ખાનગી હોસ્પિટલમાં ૧૦ દિવસની સારવારનો ખર્ચ રૂ. ૧૨ લાખ આવ્યો છે. અમે જો આટલી લાંબી સારવાર બહાર કરાવી હોત તો અડધા કરોડનો ખર્ચ થઇ ગયો હતો. રાજ્ય સરકારે આવા દવાખાના બનાવી દર્દીઓ ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે.

Related posts

ગળસૂંઢાની રસીનું લોકાર્પણ કરતા પશુપાલન મંત્રી રાઘવજી પટેલ

saveragujarat

રાજ્યમાં 31 જીડીપી સેન્ટર્સનું લોકાર્પણ કરતા આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ

saveragujarat

માર્ચ માસમાં દેશમાં જીએસટીની આવક ૧,૪૨,૦૯૫ કરોડ થઈ

saveragujarat

Leave a Comment