પેટ્રોલ-ડિઝલ-રાંધણગેસ તથા ઓટો અને ઔદ્યોગીક ગેસના ભાવમાં થઈ રહેલા ઝડપી વધારો પુરતો ન હોય તેમ હવે ગુજરાતના લોકોએ વિજળીના ભાવવધારાનો આંચકો પણ લાગવાની તૈયારી છે અને હવે તમારુ બિલીંગ જે નવું આવશે તેમાં ગુપચુપ આ નવો વધારો લાગું થઈ જશે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમે શનિવારે વિજ બીલમાં જે ફયુલ સરચાર્જ લાગે છે તેમાં પ્રતિ યુનિટ 10 પૈસાનો વધારો કરવા નિર્ણય લીધો છે અને આ તા.1 ઓકટોબરથી લાગુ થશે.
એટલે તમો અત્યારે જ મોંઘી વિજળી વાપરી લીધી છે અને દિપાવલીમાં જે રોશની કરશો તેમાં આ ભાવવધારાના ચમકારા પણ દેખાશે. ગુજરાતમાં અઘોષિત વિજ કટોકટી છે જ અને રાજય સરકાર કોલ વિજ મથકોમાં જે રીતે કોલસાની સપ્લાયની કમી છે તેના કારણે કેન્દ્રીય પુલમાંથી રૂા.15-17 પ્રતિ યુનિટના ભાવે વિજળી ખરીદવી પડે છે. અગાઉ પાવર પરચેઝ એગ્રીમેન્ટમાં જુલાઈ-સપ્ટે. 2021-22માં 50 પૈસા પ્રતિ યુનીટનો ભાવવધારો આપવો પડયો છે.
જો કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમે આ ભાવવધારો કરવા માટે ઈલેકટ્રીસીટી રેગ્યુલેટરી ઓથોરીટીની મંજુરી લેવી જરૂરી પડે છે અને તેણે ફયુલ એન્ડ પાવર પરચેઝ એડજેસ્ટમેન્ટ ચાર્જ હાલ જે રૂા.1.90 પ્રતિ યુનીટ છે તે રૂા.2 (1.50 + 10 પૈસા) તા.1 ઓકટોબરથી લાગુ કરવા નિર્ણય લીધો છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમે આ અંગેની સૂચના તમામ ચાર વિજ કંપનીઓને આપી દીધી છે અને તેથી હવે નવા બિલમાં ફયુલ સરચાર્જ રૂા.2 પ્રતિ યુનિટ લેખે વસુલાશે.
વિજ નિષ્ણાંત કે.કે.બજાજના જણાવ્યા મુજબ એપ્રિલ-જુન કવાટરમાં ગુજરાત 4.56 પૈસા પ્રતિ યુનિટ વિજ ખરીદતી હતું જેમાં 43 પૈસાનો વધારો થતા રૂા.4.99 પ્રતિ યુનિટનો વિજ ભાવ ચુકવાય છે અને તેમાં 7 પૈસા ટ્રાન્સમીશન અને ડીસ્ટ્રીબ્યુશન લોસ ઉમેરાતા કુલ 50 પૈસા નો ભાવ વધુ ચુકવાય છે. હવે દેશમાં વિજ કટોકટીના કારણે જે મોંઘી વિજળી ખરીદાય છે તેનો ભાર ગ્રાહકો પર પડશે.
હાલ ગુજરાતના કોલ વિજ મથકો ફકત 30% ની ક્ષમતાથી વિજળી ઉત્પાદન કરે છે જેથી ગુજરાત સરકારને કેન્દ્રીય પુલમાંથી વિજળી ખરીદવી પડે છે અને રાજયમાં કોલ અછત છે તે છુપાવીને ગ્રાહકને તથા રાજયની તિજોરીને ડામ અપાય છે અને તે રીતે સરકાર ખોટી રીતે ઉંચા ભાવ ચુકવીને આબરુ બચાવે છે. જો કે આ નવો ભાવવધારો કૃષીક્ષેત્રને લાગુ નહી કરવાની પણ સૂચના છે.