ભારત સરકારે હવે જેવા સાથે તેવાની નીતિ અપનાવી છે. હકિકતમાં ભારતે યૂકેના નાગરિકો માટે નવો યાત્રા નિયમ લાગુ કર્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભારત સરકાર યૂકેથી ભારત આવતા લોકો માટે નવી ગાઈડલાઈન જારી કરવા જઈ રહી છે. આ દિશાનિર્દેશો 4 ઓક્ટોબરથી લાગુ થશે. આ નિયમ યૂકેના નાગરિકો અથવા યૂકેથી ભારત આવતા લોકો માટે લાગુ પડશે. 4 ઓક્ટોબરથી બધા નાગરિકોને ભારત પહોંચીને પોતાનો વેક્સિનેશન રિપોર્ટ બતાવવો પડશે. આ સાથે અન્ય મહત્વના આદેશો પણ જારી કરવામાં આવશે.
યૂકેથી રવાના થતા પહેલા 72 કલાક પહેલાનો RT-PCR રિપોર્ટ લઈને ફ્લાઈટમાં બેસવાનું રહેશે. ભારત પહોંચ્યા બાદ પણ તેમનો RT-PCR ટેસ્ટ કરાવવો ફરજીયાત રહેશે. આ ટેસ્ટ ભારત પહોંચ્યાના 8 દિવસ બાદ કરવામાં આવશે. આ સાથે જ ક્વારન્ટાઈન રહેવુ પણ ફરજીયાત હશે. એટલે કે યૂકેથી ભારત આવ્યા બાદ દરેક મુસાફરે ફરજીયાત 10 દિવસ ક્વારન્ટાઈન રહેવુ પડશે.
હકિકતમાં ભારત સરકારે આ આકરૂ વલણ બ્રિટિશ સરકાર દ્વારા ભારતીય વેક્સિનને મંજૂરી ન આપ્યા બાદ લગાવી છે. જોકે આ પહેલા ભારતના કડક વલણ બાદ બ્રિટને ભારતની વેક્સિનને મંજૂરી તો આપી દીધી હતી પરંતુ સાથે એમ પણ કહ્યું હતું કે, ભારતથી બ્રિટેન આવવા પર ભારતીય નાગરિકોને વેક્સિન લીધા બાદ પણ ક્વારન્ટાઈન રહેવુ પડશે. હવે આ જ નિર્ણય બાદ ભારત સરકારે પલટવાર કર્યો છે.