ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર તરીકે ડો.નીમાબેન આચાર્યની પસંદગી કરવામાં આવી છે. આગામી સપ્તાહે યોજાનાર વિધાનસભાના ચોમાસુ સત્ર માટે અધ્યક્ષ તેમજ ઉપાધ્યક્ષના માટે ફોર્મ ભરાયા હતા. ભાજપના અધ્યક્ષ પદ માટે નીમાબેન આચાર્ય ,ઉપાધ્યક્ષ પદ માટે જેઠા ભરવાડે ફોર્મ ભર્યું છે. વિપક્ષ કોંગ્રેસે પરંપરા મુજબ ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભા ન રાખ્યાં.
મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી તેમજ શાસક પક્ષના દંડક પંકજ દેસાઈએ નીમાબેન આચાર્ય તેમજ જેઠા ભરવાડનું ઉમેદવારી પત્ર સચિવ ડી.એમ. પટેલને રજૂ કર્યું હતું. સોમવારે વિધાનસભાના ચોમાસુ સત્રમાં અધ્યક્ષ તરીકે નીમાબેન નામની સત્તાવાર જાહેરાત થશે. વિધાનસભાની પ્રથમ મહિલા અધ્યક્ષને મળવાના મુદ્દે પ્રતિક્રિયા આપતા રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું, “આ નિર્ણયને કારણે મહિલાઓનું સન્માન થશે. માત્ર પીએમ મોદી જ મહિલાઓને આવું સન્માન આપી શકે છે. મોદીએ જ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની શરૂઆત કરી હતી. ‘
ઉલ્લેખનીય છે કે દુષ્યંત પટેલને વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, નીમાબેન આચાર્યના રાજીનામા બાદ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હવે નીમાબેન આચાર્યએ અધ્યક્ષ બનવાનું નક્કી છે.
અત્રે નોંધનીય છે કે, વિધાનસભાના નવા મંત્રીમંડળમાં રાજેન્દ્ર ત્રિવેદીનો સમાવેશ કરાતા હાલમાં ગુજરાત વિધાનસભાનું સ્પીકર પદ ખાલી પડ્યું છે. જેથી નજીકના સમયમાં સ્પીકરની ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી પહેલા જ ડો.નીમાબેન આચાર્યએ રાજીનામું આપી દીધું હતું. જો નીમાબેન કાર્યકારી અધ્યક્ષ હોય તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદની ચૂંટણી ન લડી શકે એ માટે તેઓએ રાજીનામું આપી દીધું હતું.