સવેરા ગુજરાત, ગાંધીનગર, તા 22
ગાંધીનગર, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજીએ ગાંધીનગરમાં સાબરમતી નદીના કોતરોમાં રચાયેલા સંસ્કૃતિ કુંજમાં વસંતોત્સવની મુલાકાત લીધી હતી. ભારતના વિવિધ પ્રાંત અને પ્રદેશોના લોકકલાકારો અને હસ્તકલા કારીગરોને પ્લેટફોર્મ મળે તથા ભારતની ભાતીગળ સંસ્કૃતિનો પરિચય કેળવાય એવા ઉદ્દેશ સાથે યોજાઈ રહેલા વસંતોત્સવે ગાંધીનગરમાં ભારે લોકપ્રિયતા મેળવી છે.
યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત વસંતોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને શ્રીમતી દર્શના દેવીજી ઓરિસ્સાના કિશોરો દ્વારા પ્રસ્તુત ગોટીપૂવા નૃત્યથી અત્યંત પ્રભાવિત થયા હતા. કર્ણાટકના કલાકારોના ઢોલુકૂનીથા, આસામના બિહુ નૃત્ય અને ગુજરાતના મંજીરા રાસ તથા અંકલેશ્વરના કલાકારો દ્વારા પ્રસ્તુત વસાવા નૃત્યને તેમણે પ્રસન્નતાપૂર્વક માણ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના લોકગાયક ભાવેશ આહીરનું સન્માન કર્યું હતું. ભાવેશ આહીરે તળપદી ભાષામાં પ્રસ્તુત કરેલા લોકપ્રિય ગીતો પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મન ભરીને માણ્યા હતા. ગાંધીનગરમાં છેલ્લા ૨૮ વર્ષથી સંસ્કૃતિ કુંજમાં વસંતોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાથે યોજાઈ રહેલા વસંતોત્સવે ગાંધીનગરમાં ગજબનું આકર્ષણ ઊભું કર્યું છે.