સવેરા ગુજરાત,પાલનપુર તા.04
પાલનપુર, રાષ્ટ્રીય પક્ષી દિવસને જંગલી અને પાળેલા પક્ષીઓને બચાવવાના અભિયાન તરીકે ઉજવવામાં આવે છે જેથી તેમનું અસ્તિત્વ જાળવી શકાય. રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી પર્યાવરણીય મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવા અને સમગ્ર વિશ્વમાં પક્ષીઓના રક્ષણ અને સંરક્ષણ માટે લોકોને શિક્ષિત કરવા માટે પ્લેટફોર્મ અને તક પૂરી પાડે છે વિશ્વમાં ઘણા એવા પક્ષીઓ છે જે લુપ્ત થવાના આરે છે. તેથી ભારત સરકારે 1963 થી 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવાનુ નક્કી કરવામાં આવ્યું છે જેના થકી દેશમાં પક્ષીઓને સાચવવાની સાથે કુદરતી સંતુલન જળવાઈ રહે તેવા પ્રયાસો થઈ રહ્યા છે.
ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં આવેલી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર શિયાળાની શરૂઆત થતાં જ સાઈબેરિયાથી પક્ષીઓ સ્થળાંતર કરીને આવતા હોય છે. ભારત પાકિસ્તાનની સરહદ પર નડાબેટ નજીક આવેલું નડાબેટનું અફાટ રણ શિયાળામાં 144 દેશ કરતા વધારે દેશોના પ્રવાસી પક્ષીઓનું આશ્રય સ્થાન બની જાય છે અને તેને નિહાળવા માટે દૂર દૂરથી લોકો પણ આવતા હોય છે.
બનાસકાંઠા જિલ્લો એટલે રણ, દરિયો અને આંતરરાષ્ટ્રીય સીમા ધરાવતો અનોખો જીલ્લો. જેમાં બાલારામ અને અંબાજી જેવા જંગલી વિસ્તાર લુપ્ત થતા પક્ષીઓના વસવાટ માટે ખૂબ અગત્યનું સ્થાન માનવામાં આવે છે. આ પક્ષીઓનું મૂળ નિવાસ સ્થાન સાઈબેરિયા છે પરંતુ શિયાળામાં સાઈબેરિયામાં ઠંડીનું પ્રમાણ વધી જતું હોવાના લીધે આ પક્ષીઓ બનાસકાંઠા જિલ્લાના મહેમાન બને છે.
રશિયાનો સાઈબેરીયન પ્રદેશ શિયાળામાં એકદમ નિર્જન બની જાય છે. ત્યારે આ વિસ્તારમાં વસતા પક્ષીઓ આ ઠંડીમાં ઠંડીથી બચવા અને ખોરાકની શોધમાં સ્થળાંતર કરે છે.
નડાબેટના રણમાં ચોમાસામાં ભરાયેલા પાણીમાં માછલીઓ પણ પ્રચુર માત્રામાં હોવાથી યાયાવર પક્ષીઓને ખોરાક પણ આસાનીથી મળી રહે છે.. અને અહી જ આ પક્ષીઓ પ્રજનન પણ કરે છે. ત્યારબાદ માર્ચ મહિનાની શરૂઆત થતાં જ આ રણમાં તાપમાનનો પારો ઊંચો જવાથી પક્ષીઓ ફરીથી હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને સાઈબેરિયા પહોંચી જતાં હોય છે.
ઓક્ટોબર માસથી ફેબ્રુઆરી સુધી આ પક્ષીઓ ગુજરાતના નડાબેટમાં આવેલા રણને જ પોતાનું નિવાસ બનાવી નાંખે છે. અને આ વિદેશી પક્ષીઓના આકર્ષણને નિહાળવા માટે દૂર દૂરથી પક્ષીપ્રેમીઓ પણ આવતા હોય છે. ગુજરાત સરકાર પણ આ વિદેશી પક્ષીઓના આકર્ષણને લઈ આ વિસ્તારનો વિકાસ પ્રવાસન વિભાગ તરીકે કરી રહી છે. ત્યારે આપણે સૌએ ઘર આંગણાના પક્ષીઓ, લુપ્ત થતા દુર્લભ પ્રજાતિના પક્ષીઓને બચાવવા અને આવનારી પેઢીઓને આ પક્ષીઓ જોવા મળી રહે એવા પ્રયાસો ચોક્કસ કરવા જોઈએ.