સવેરા ગુજરાત,અરવલ્લી, તા.૨૧
દિવસેને દિવસે મોંઘવારી માજા મુકી રહી છે શાકભાજીના ભાવ પણ ભડકે બળી રહ્યા છે. જમવામાં જેની ગેરહાજરીથી સ્વાદમાં ફિકાશ લાગે તેવા આદુના ભાવ પણ ઉચકાયા છે અને હાલ અરવલ્લી જિલ્લા માં એક કિલોનાં ભાવ રૂા.300 ને આંબી ગયા છે. હજુ પણ ભાવ વધે તેવા વેપારી આલમમાં એંધાણ જોવા મળી રહ્યા છે.
મોડાસા માર્કેટ યાર્ડના વેપારી સુત્રના જણાવ્યા અનુસાર આદુનાં ભાવ વધવા માટે મુખ્યત્વે ઓછુ વાવેતર અને કમોસમી વરસાદ જવાબદાર માનવામાં આવે છે.
ગત વર્ષે ખેડૂતોને આદુનાં ભાવ ઓછા મળવાથી ખેડૂતોએ આ વર્ષે આદુનું ઓછું વાવેતર કર્યું હતું. આદુનું મુખ્યત્વે વાવેતર રાજસ્થાન,બેંગ્લોર, તેમજ પંચમહાલ, દાહોદ ગોધરામાં થાય છે. ઓછું વાવેતર થવાથી અરવલ્લી ના માર્કેટમાં આદુની આવક ઓછી થઇ છે.તેથી ભાવ પણ ઉચકાયો છે. તેમજ આ વર્ષે કમોસમી કારણે શાકભાજી તેમજ આદુનાં પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. જેના કારણે આદુના ઐતિહાસીક સપાટીએ પહોંચ્યા છે.
ગુજરાતી રસોડામાં બીજુ કઇ મળે કે ન મળે પરંતુ આદુ ચોકકસ મળશે. આદુનો ઉપયોગ ગુજરાતીઓ સદીઓથી કરતા આવ્યા છે. આદુનો ઉપયોગ મસાલા ઉપરાંત ઔષધીય તરીકે પણ કરાતો આવ્યો છે. એમા પણ અરવલ્લી વાસીઓ ચામાં મુખ્યત્વે આદુ નાખીને ચાનો સ્વાદ માણે છે. તેથી આદુનો ભાવ ઉચકાતા ગૃહિણીઓ ત્રાહીમામ પોકારી ઉઠી છે.
માલની આવક ઓછી થતાં પ્રથમ વખત આદુનો ભાવ ઐતિહાસીક સપાટીએ પહોંચ્યા છે. ઉપરાંત આજ પરિસ્થિતિ રહેશે તો થયેલ માલની આવક નહીં થાય ત્યાં સુધી હજુ વધુ ભાવ ઉંચકાશે તેવું વેપારીઓનું માનવું છે.