સવેરા ગુજરાત ,રાજકોટ,તા. 7
ગુજરાત વિધાનસભાના આવતીકાલે આવી રહેલા પરિણામો પૂર્વે જ કોંગ્રેસ પક્ષે અગમચેતીના પગલામાં તેના નવા ચૂંટાનાર તમામ ધારાસભ્યોને રાજસ્થાન ખાતે ખસેડવા તૈયારી કરી છે. આજે અમદાવાદમાં પક્ષના પ્રભારી રઘુ શર્મા અને ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે બેઠક યોજાઈ હતી અને તેમાં એક્ઝિટ પોલના પરિણામો કરતા અલગ પરિણામો આવશે તેવું જણાવીને કોંગ્રેસ પક્ષના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને હાઈજેક કરે અથવા તોડવાનો પ્રયત્ન કરે તેવી આશંકા દર્શાવી હતી.
કોંગ્રેસ પક્ષના સુત્રોએ જણાવ્યું કે, નવા ચૂંટાનાર ધારાસભ્યોને ઉદેપુરમાં એક રિસોર્ટમાં લઇ જવા માટે તૈયારી રાખવામાં આવી છે અને આવતીકાલે પરિણામની સ્પષ્ટતા સાથે આ અંગે પક્ષ નિર્ણય લેશે.કોંગ્રેસ પક્ષે તેના તમામ ધારાસભ્યોને પરિણામની જાહેરાત સાથે જેઓ વિજેતા બન્યા હોય તેમને ગાંધીનગર પહોંચી જવા સુચના આપી છે અને તેઓ માટે ગાંધીનગરમાં જ અલગ વ્યવસ્થા રખાશે. તેમજ જરુર પડે તેઓને રાજસ્થાન ખાતે ખસેડીને સલામત કરી દેવાશે.જે રીતે ગુજરાતમાં એક્ઝિટ પોલમાં ભાજપની સરકારનો સંકેત અપાયો છે પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માને છે કે એક્ઝિટ પોલ જેટલી બેઠકો ભાજપ મેળવી શકશે નહીં અને તેના કારણે પક્ષના નવા ચૂંટાયેલા ધારાસભ્યો પર ભાજપ કોઇ નજર કરે તે પૂર્વે જ તેને સલામત કરવાની તૈયારી કરવામાં આવી છે.