સવેરા ગુજરાત, કોડીનાર ,તા18
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ આજરોજ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉ. પ્રદ્યુમન વાજાના સમર્થનમાં એક જંગી જાહેર સભાને સંબોધી હતી. સભાની શરૂઆત પહેલાં કોડીનાર શહેરના વિવિધ સમાજના અગ્રણીઓએ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી નું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ કોડીનાર શહેર કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસને રામ રામ કરી મુખ્યમંત્રીના હસ્તે ભાજપાનો ખેસ ધારણ કર્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર વિધાનસભાના ઉમેદવાર ડૉ. પ્રદ્યુમનભાઇ વાજાએ સ્વાગત પ્રવચન અને દેશ અને રાજ્યના ભાજપાના શિર્ષસ્થ નેતૃત્વનો કોડીનાર શહેરના ભાજપાના ઉમેદવાર તરીકે પસંદ કરવા બદલ આભાર માન્યો હતો. અત્યાર સુધી જેટલા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી માંથી ચૂંટાઇને વિધાનસભા ખાતે પહોંચ્યા હતાં તે તમામ પ્રતિનિધીઓએ કોડીનાર શહેરમાં વિકાસ કાર્યો હાથ ધરી શહેરની કાયાપલટ કરવામાં કોઇ કસર રાખી નથી અને બાકી રહેતા વિકાસના કાર્યોને પૂર્ણ કરવાની ખાત્રી આપી હતી. ભારતીય જનતા પાર્ટી એ વિકાસને વરેલી પાર્ટી છે, છેવાડાના માનવીની ચિંતા કરવાવાળી પાર્ટી છે. કોંગ્રેસ એ પરિવારવાદ ધરાવતી પાર્ટી છે. આ વખતે લોકતંત્રના મહાપર્વમાં તા. ૦૧લી ડિસેમ્બરે થનાર મતદાનમાં વિકાસની અવિરત યાત્રા ચાલુ રહે તે માટે ૧૦૦ ટકા મતદાન કરવા અપીલ કરી હતી.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે જંગી જાહેર સભાને સંબોધતા ભૂપેન્દ્રભાઇ પટેલ જણાવ્યું હતું કે, ચૂંટણી આવે એટલે જાત જાતની વાતો કરવામાં આવશે પણ આપણી સામે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કરેલ વિકાસની રાજનીતિ અને વડાપ્રધાન એ ઉપર વિશ્વાસ મૂકી ભારતીય જનતા પાર્ટીને છેલ્લા ૨૦ વર્ષથી સત્તાના માધ્યમથી સેવા કરવા માટે જનતા પોતાની મંજુરીની મહોર મારે છે. સૌરાષ્ટ્રના દરેક વિસ્તારોમાં પાણીની અછતને દૂર કરવામાં આવી છે. આપણે લોકતંત્રના મહાપર્વમાં કોણે શું કર્યુ છે તેમાં ન પડતા ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા ૨૦ વર્ષમાં શું કરવામાં આવ્યું છે, કેવો વિકાસ કરવામાં આવ્યો છે તેની વાત જનતા સમક્ષ કરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડી દેશના યશસ્વી વડાપ્રધાન ના સ્વપ્નને સાકાર કરવાનું છે.
ભૂપેન્દ્રભાઇ પટેલ સાહેબે વધુમાં જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન એ ભારત દેશ અને ગુજરાતમાં રોજગારીનું વધુમાં વધુ સર્જન થાય તે માટે વાયબ્રન્ટ ગુજરાત થકી વિદેશી કંપનીઓને દેશ અને ગુજરાતમાં મૂકી રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. માન.વડાપ્રધાન ના અથાગ પ્રયત્નો થકી આજે રાજ્ય સૌથી વધુ રોજગારી આપનારૂ રાજ્ય બન્યું છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા છેવાડાના માનવીની ચિંતા કરી રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પુરેપુરો મળી રહે તે માટે પ્રયત્નશીલ રહી છે. ભાજપાનો કાર્યકર ગમે તેવી કુદરતી આફત હોય કે માનવસર્જીત આફત હોય પોતાની જાત અને પરિવારની ચિંતા કર્યા વગર સેવાકાર્યમાં લાગી જાય છે તેનું ઉદાહરણ લેવું હોય તો તે તાજેતરમાં આવેલ કોરોના મહામારી છે. આ મહામારી દરમ્યાન ભાજપાનો દરેક કાર્યકર પોતાની ચિંતા કર્યા વગર રાજ્યમાં ઓછામાં ઓછી જાનહાની થાય તેની ચિંતા કરી જમીની સ્તરે પોતાની તમામ તાકાત કામે લગાડી દિધી હતી. અંતમાં મુખ્યમંત્રીશ્રીએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે જોયેલા તેમના તમામ રેકોર્ડ તોડવાના સ્વપ્નને સાકાર કરવા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાંથી ડૉ. પ્રદ્યુમનભાઇ વાજાના રૂપમાં કમળને ગુજરાત વિધાનસભામાં જંગી લીડથી મોકલી આપવા અપીલ કરી હતી.
ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર શહેરની ભાજપાના ઉમેદવારના સમર્થનમાં યોજાયેલ આ જાહેર સભામાં પૂર્વ સંસદસભ્ય દિનુભાઇ સોલંકી, પૂર્વ ધારાસભ્યશ્રી જેઠાભાઇ સોલંકી, પ્રદેશ મંત્રીશ્રી ઝવેરભાઇ ઠકરાર, જિલ્લાના પ્રમુખ દિલીપસિંહ બારડ, કોડીનાર શહેર ભાજપા પ્રમુખ વિવિધ સમાજના આગેવાન ઓ અને વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.